અમદાવાદ,05 ડિસેમ્બર (હિ.સ.) વિકસિત ભારત સંકલ્પ યાત્રા અંતર્ગત અમદાવાદ શહેરમાં મ્યુનિ. કોર્પોરેશનના ઉત્તરઝોનના સરદાર નગર વોર્ડમાં ધારાસભ્ય શ્રી ડો.પાયલબેન કુકરાણીની ઉપસ્થિતિમાં વિકસિત ભારત રથના આગમન સાથે વિવિધ યોજનાના પ્રચાર પ્રસાર અને લાભોના વિતરણનો કાર્યક્રમ યોજાયો. અર્બન હેલ્થ સેન્ટર, સરદારનગર ખાતે સવારે અને સરદારનગરના ભદ્રેશ્વર ત્રણ રસ્તા પાસે બપોર બાદ વિકસિત ભારત કાર્યક્રમ યોજાયો હતો.
આ કાર્યક્રમોમાં ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે લાભાર્થીઓને વિવિધ યોજનાઓના લાભો વિતરણ કરવામાં આવ્યા હતા. આ ઉપરાંત, વિવિધ જનકલ્યાણકારી યોજનાઓ અંગે નાગરિકોને માહિતગાર કરવામાં આવ્યા હતા તથા વિવિધ યોજનાઓ અંતર્ગત પાત્રતા ધરાવતા લાભાર્થીઓનું નામાંકન કરવામાં આવ્યું હતું. અંદાજિત 1940 જેટલા લોકો આ કાર્યક્રમોમાં સહભાગી થયા હતા. ઉપસ્થિત સૌ લોકોને વિકસિત ભારત સંકલ્પ લેવડાવવામાં આવ્યો હતો.
બન્ને કાર્યક્રમો અંતર્ગત 182 લાભાર્થીઓને પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના અંતર્ગત આયુષ્માન કાર્ડ, 42 લાભાર્થીઓને પીએમ સ્વનિધિ યોજના અંતર્ગત લાભ, 52 લાભાર્થીઓને પીએમ ઉજજ્વલા યોજના અંતર્ગત સહાય, 40 લાભાર્થીઓને સ્વચ્છ ભારત અભિયાન (અર્બન)અંતર્ગત લાભ સહિત પીએમ ભારતીય જન ઔષધી પરિયોજના અંતર્ગત 55 લાભાર્થીઓને લાભો વિતરણ કરવામાં આવ્યા હતા. આ ઉપરાંત 65 જેટલા લાભાર્થીઓને આધાર કાર્ડ કઢાવવાની કામગીરી પૂર્ણ કરવામાં આવી હતી.
સૌ ઉપસ્થિત નાગરિકોએ આ પ્રસંગે યોજવામાં આવેલા આરોગ્ય ચકાસણી કેમ્પનો લાભ મેળવ્યો હતો. જે અંતર્ગત નાગરિકોની ટી. બી., ડાયાબિટીસ, હાયપરટેન્શન જેવા રોગો માટે આરોગ્ય ચકાસણી અને સ્ક્રીનીંગ કરવામાં આવ્યું હતું.
હિન્દુસ્થાન સમાચાર/
