
કટક, નવી દિલ્હી, 21 ડિસેમ્બર (હિ.સ.) અલ્ટીમેટ ખો-ખો લીગની બહુપ્રતિક્ષિત બીજી સિઝન ખૂણે છે, અને ગુજરાત જાયન્ટ્સે તેમના કેપ્ટન અને વાઇસ-કેપ્ટનની જાહેરાત કરી છે. બીજી સીઝન 24 ડિસેમ્બર, 2023ના રોજ કટકમાં શરૂ થશે, જેની ફાઈનલ 13 જાન્યુઆરી, 2024ના રોજ થશે. ગુજરાત જાયન્ટ્સ 25 ડિસેમ્બરે રાજસ્થાન વોરિયર્સ સામે તેમના અભિયાનની શરૂઆત કરશે.
અદાણી સ્પોર્ટ્સલાઇનની માલિકીની ગુજરાત જાયન્ટ્સનું નેતૃત્વ, મુંબઈના અક્ષય ભાંગરે કરશે. અલ્ટીમેટ ખો-ખો લીગમાં આ 26 વર્ષીય ખેલાડીનો પ્રથમ પ્રવેશ હશે. અક્ષય, જેણે પાંચમા ધોરણમાં રમવાનું શરૂ કર્યું, જે ડિફેન્ડર છે, તેણે સિનિયર અને જુનિયર સ્તરે રાષ્ટ્રીય સ્પર્ધાઓમાં મહારાષ્ટ્રનું પ્રતિનિધિત્વ કર્યું છે. તેણે મહારાષ્ટ્રની વરિષ્ઠ ટીમ અને ભારતીય ખો-ખો ટીમની કેપ્ટનશિપ પણ કરી છે.
પટ્ટા નરસૈયાને, વાઈસ-કેપ્ટનની જવાબદારી સોંપવામાં આવી છે અને તે અક્ષયને ટીમની રણનીતિ અને આયોજનમાં મદદ કરશે. આંધ્રપ્રદેશના વિઝિયાનગરમનો 28 વર્ષીય ખેલાડી અલ્ટીમેટ ખો-ખો લીગમાં તેની બીજી સીઝન રમશે. ખૂબ જ આક્રમક સ્વભાવ ધરાવતા પટ્ટા, ખો-ખો ખેલાડીઓ પ્રસન્ના કુમાર અને અમિત પાટીલના મોટા પ્રશંસક છે અને તેમના રાજ્યની ટીમની સુકાની પણ કરી છે. જ્યારે ટીમ ટેસ્ટ શ્રેણીમાં નેપાળનો સામનો કરી રહી હતી, ત્યારે પટ્ટાએ પણ ભારતીય રંગ જમાવ્યો હતો.
બુધવારે ગુજરાત જાયન્ટ્સ દ્વારા બહાર પાડવામાં આવેલા સત્તાવાર નિવેદનમાં, કેપ્ટન અક્ષય ભાંગરેએ જણાવ્યું હતું કે, “આ અલ્ટીમેટ ખો-ખો લીગમાં મારી પ્રથમ સિઝન છે, અને હું ગૌરવ અનુભવું છું કે ગુજરાત જાયન્ટ્સે કેપ્ટનશિપ સાથે મારા પર વિશ્વાસ કર્યો છે. જાયન્ટ્સ ખૂબ જ મજબૂત ફ્રેન્ચાઇઝી છે અને હું ટીમને ગૌરવ અપાવવા માટે મારા શ્રેષ્ઠ પ્રયાસો કરવાનું વચન આપું છું. અમે દરરોજ અમારું શ્રેષ્ઠ કરવાનો પ્રયાસ કરીશું. ”
ગુજરાત જાયન્ટ્સના મુખ્ય કોચ સંજીવ શર્માએ જણાવ્યું હતું કે, “ગુજરાત જાયન્ટ્સે સારી સંતુલિત ટીમ ઉતારી છે. અદાણી સ્પોર્ટ્સલાઇન મેનેજમેન્ટે અમને અમારી જરૂરિયાત મુજબ ટીમ બનાવવા માટે ખુલ્લી છૂટ આપી છે. અક્ષય ભાંગરે અને પટ્ટા નરસૈયા સારા લીડર છે અને મને વિશ્વાસ છે કે, તેઓ સુનિશ્ચિત કરશે કે અમે અમારું શ્રેષ્ઠ પ્રદર્શન આપીશું.
અદાણી સ્પોર્ટ્સલાઇનના સીબીઓ સંજય આડેસરાએ જણાવ્યું હતું કે, “ખો ખો એ ભારતીય ઇતિહાસનો એક વિશાળ હિસ્સો છે અને અમે તેને દેશમાં સૌથી વધુ ફોલો કરવામાં આવતી રમતોમાંની એક બનાવવા માંગીએ છીએ. અમે ખો-ખોમાં ગુજરાત જાયન્ટ્સ સાથે રોકાણ કર્યું છે અને અમે માનીએ છીએ કે આ રમતની પ્રતિષ્ઠા વધારવાનો એક માર્ગ છે. અદાણી સ્પોર્ટ્સલાઇનમાં, અમે એ સુનિશ્ચિત કરવા આતુર છીએ કે સ્વદેશી રમતોને ખીલવા માટે અસરકારક સમર્થન મળે.”
હિન્દુસ્થાન સમાચાર/સુનીલ / ડો. હિતેશ
