જુનાગઢ,15 ફેબ્રુઆરી : ગરવા ગિરનારની ગોદમાં ભવનાથ તળેટી વિસ્તારમાં પ્રસિદ્ધ મહાશિવરાત્રીના મેળાનો પરંપરાગત રીતે મહાવદ -9 એટલે કે, તા.૫ માર્ચે આ મેળાનો શુભારંભ થશે. આધ્યાત્મિક અને પૌરાણિક રીતે વિશેષ મહત્વ ધરાવતા આ મહાશિવરાત્રીના મેળામાં લાખોની સંખ્યામાં ભાવિક ઉમટે છે, ત્યારે શ્રદ્ધાળુઓ માટે જરૂરી પ્રાથમિક સુવિધાઓ અને વ્યવસ્થાઓ ઊભી કરવા કલેકટર શ્રી અનિલકુમાર રાણાવસિયાની અધ્યક્ષતામાં જિલ્લા વહીવટી તંત્રના સંબંધિત અધિકારીઓ સાથે જરૂરી પરામર્શ કરવામાં આવ્યો હતો.
કલેકટર કચેરી ખાતે કમિશનર શ્રી ઓમ પ્રકાશ, જિલ્લા પોલીસ વડા હર્ષદ મહેતા, અધિક નિવાસી કલેકટર એન.એફ. ચૌધરી સહિતના અધિકારીઓની ઉપસ્થિતિમાં મળેલી આ બેઠકમાં ભવનાથ તળેટી મર્યાદિત વિસ્તાર હોય અને ખૂબ મોટી સંખ્યામાં ભાવિકો ઉમટતા હોવાથી ખાસ કરીને ટ્રાફિક નિયમન, સ્વચ્છતા, પીવાના પાણી અને આપાતકાલીન સ્થિતિમાં ઈમરજન્સી એક્ઝિટ માટેના રૂટ વિશે પણ ઉંડાણપૂર્વક ચર્ચા -વિચારણા કરવામાં આવી હતી.
મહાનગરપાલિકા દ્વારા ભવનાથ વિસ્તારમાં આગામી સમયમાં ઉતારા મંડળ સહિતનાઓને પ્લોટ ફાળવવામાં આવનાર છે, ત્યારે ફાયર સેફટી, સફાઈ, પાણી, વીજળી વગેરે સુવિધાઓ માટે સંકલન કરવા કલેકટરએ સૂચના આપી હતી.
મહાશિવરાત્રીના મેળા દરમિયાન સ્વચ્છતા જળવાઈ રહે તે માટે અન્ય નગરપાલિકા-મહાનગરપાલિકા પાસેથી વધારાનો સફાઈકર્મીઓનો સ્ટાફ પણ આવશે. તેવી જ રીતે ફાયર સેફટી માટેના સાધનો અને સ્ટાફ આવશે. તે સંદર્ભે પણ જરૂરી ચર્ચા કરવામાં આવી હતી.
આ બેઠકમાં આરોગ્ય, વીજળી, પરિવહન સહિતની સુવિધાઓ અને દૂધ, ગેસ સિલિન્ડર અને અન્ય આવશ્યક ચીજ વસ્તુઓનો ભાવ નિયંત્રણ રહે તે માટે પણ જરૂરી પરામર્શ કરવામાં આવ્યો હતો. ઉપરાંત વન વિભાગ દ્વારા રાહત દરે લાકડાના વેચાણનું પણ આયોજન છે.
આમ, આ બેઠકમાં ક્લેક્ટરએ ભાવિકો માટે પ્રાથમિક સુવિધાઓ અને વ્યવસ્થાઓ સંદર્ભે જરૂરી સૂચનાઓ અને માર્ગદર્શન આપ્યું હતું.
આ બેઠકમાં પ્રાંત અધિકારી ભૂમિબેન કેશવાલા, જિલ્લા આયોજન અધિકારી આર. એમ.ગંભીર, પીજીવીસીએલના અધિક્ષક ઈજનેર પરમાર, ડેપ્યુટી કમિશનર ઝાપડા સહિતના સંબંધિત અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
