જામનગર, 14 ઓકટોબર – હવામાન વિભાગની આગાહીને વચ્ચે ગઈકાલે બપોર પછી રાજ્યના કેટલાક વિસ્તારોમાં વરસાદી માહોલ છવાયો હતો.ગઈકાલે સૌરાષ્ટ્રના અમુક વિસ્તારોમાં મેઘરાજાએ પધરામણી કરતા ગરબા આયોજકો ચિંતામાં મુકાઈ ગયા છે. મોડી રાત્રે જામનગરના કાલાવાડ શહેર સહિત તાલુકામાં મેઘરાજાએ ધડબડાટી બોલાવી હતી. જામનગર પંથકમાં મોડી રાત્રે ભારે પવન સાથે ધોધમાર વરસાદ પડ્યો હતો. અહીં એક કલાકમાં 1 ઇંચ કરતા વધારે વરસાદ પડ્યો હતો. જામનગરના નીકાવા, શિશાંગ, રાજડા, મોટા વલાડા સહિતના ગ્રામ્ય પંથકમાં વરસાદ પડ્યો હતો.
વરસાદથી ખેડૂતોના ઉભા પાકમાં ભયંકર નુકસાનની ભીતિ સેવાઈ રહી છે. તો કેટલીક જગ્યાએ વરસાદના કારણે કપાસ, મગફળી, ડુંગળી, સોયાબીન સહિતના પાકોમાં નુકસાન થયું હોવાનું પણ કહેવામાં આવી રહ્યું છે. નવરાત્રી પહેલાં જ મેઘરાજાનું ફરી આગમન થતાં ગરબા આયજકો અને ખેલૈયાઓ ચિંતામાં મુકાયા છે.
હવામાન વિભાગ દ્વારા નવરાત્રીના પ્રથમ દિવસે જ સુરેન્દ્રનગર, મહેસાણા, અમદાવાદ, બોટાદ, ભાવનગર, ખેડા તેમજ આણંદમાં છૂટાછવાયા વરસાદની આગાહી કરી છે. તો નવરાત્રીના બીજા દિવસે બનાસકાંઠા, સુરેન્દ્રનગર, સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લી, સુરેન્દ્રનગર, અમદાવાદમાં હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે.
