સુરત,14 એપ્રિલ : ખર્ચ નિરીક્ષક વિજયાનંદ ભારતીયના અધ્યક્ષસ્થાને અને જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેકટર ડો. સૌરભ પારધીની ઉપસ્થિતિમાં કલેક્ટર કચેરીના સભાખંડમાં ખર્ચ મોનિટરિંગ સેલની કામગીરીની સમીક્ષા અને માર્ગદર્શન માટે બેઠક યોજાઈ હતી.
બેઠકમાં ખર્ચ નિરીક્ષકએ જણાવ્યું હતું કે, વિવિધ પક્ષોના સ્ટાર પ્રચારકો સાથે પ્રચારમાં આવતા સહયોગીઓની સંપર્ક નંબર સહિતની જરૂરી વિગતો અદ્યતન રાખવી જરૂરી છે. એર ઈન્ટેલિજન્સ યુનિટ સતર્ક રહે એમ જણાવી ઉમેર્યું કે, ઓછા બેલેન્સ ધરાવતા જનધન ખાતાઓમાં પણ આચાર સંહિતાના સમયગાળામાં નાણાની હેરફેર વધી રહી હોવાનું માલૂમ પડે, બેન્કોના ડોરમેટ (નિષ્ક્રિય) ખાતાઓ ચૂંટણી સમયમાં જ સક્રિય થાય અને તેમાં અચાનક રૂ. 500 થી પાંચ હજારનું ટ્રાન્ઝેક્શન થવા લાગે તો જરૂરી પગલાં લેવા કહ્યું હતું.
તેમણે ચૂંટણી ખર્ચની મર્યાદા અંતર્ગત ઉમેદવારો દ્વારા કરવામાં આવનાર ખર્ચની નિયત પ્રક્રિયા અનુસાર નોંધ રાખવા, શેડો રજીસ્ટર નિભાવવા અને દરેક ખર્ચ મોનિટરિંગ સેલની દૈનિક કામગીરી, મર્યાદાથી વધુ રકમના વ્યવહાર, ખર્ચ અહેવાલોની જાળવણી કરવા જણાવ્યું હતું. ચૂંટણી પંચના નેતૃત્વમાં આદર્શ આચારસંહિતાનો ચુસ્ત અને યોગ્ય અમલ કરી ન્યાયી અને મુક્ત ચૂંટણી યોજવા માટે જિલ્લા ચૂંટણી તંત્રની અવિરત કામગીરીને બિરદાવી હતી. મામલતદાર પ્રતિક જાખડે પાવર પોઈન્ટ પ્રેઝન્ટેશન દ્વારા એક્સપેન્ડિચર મોનિટરિંગ સેલની કામગીરી વિષે નિરીક્ષકને વાકેફ કર્યા હતા.
