
સુરત, 30 ડિસેમ્બર(હિ. સ.)-ભારત સરકારના સામાજિક ન્યાય અને અધિકારીતા મંત્રાલયના દિવ્યાંગજન સશક્તિકરણ વિભાગ (DEPWD) દ્વારા દેશભરના દિવ્યાંગ સાહસિકો, કારીગરોના ઉત્પાદનો અને કારીગરીનું પ્રદર્શનના આશયથી અઠવાલાઇન્સ સ્થિત, ઉમરા પો.સ્ટેશનની બાજુમાં SMC પાર્ટી પ્લોટ ખાતે આજરોજ દશ દિવસીય દિવ્ય કલા મેળા-2023 નો ધારાસભ્ય શ્રીમતી સંગીતાબેન પાટીલના હસ્તે શુભારંભ કરાયો હતો. આ મેળો 07 જાન્યુઆરી સુઘી દશ દિવસી માટે ખુલ્લો રહેશે.
આ અવસરે ધારાસભ્ય શ્રીમતી સંગીતાબેન પાટીલે જણાવ્યું હતું કે, દિવ્યાંગોના કલ્યાણ માટે ભારત સરકાર અને રાજ્ય સરકારે અનેકવિધ યોજનાઓ અમલમાં મુકી છે. દિવ્યાંગો દ્રારા ઉત્પાદિત વસ્તુઓના વેચાણ માટે પ્લેટફોર્મ મળી રહે તે માટે સરકારે મેળાનું આયોજન થયું છે. જેથી સુરતીઓએ મોટી સંખ્યામાં વસ્તુઓની ખરીદી કરવાનો અનુરોધ કર્યો હતો.
આ પ્રસંગે પહ્મ શ્રી કનુભાઈ ટેલરે કહ્યું કે, વડાપ્રધાન હંમેશા દિવ્યાંગોના કલ્યાણ માટે અનેરી સંવેદનશીલતા ધરાવે છે. તેમણે દિવ્યાંગો દ્વારા ઉત્પાદિત ચીજવસ્તુઓને બજાર મળી રહે તે માટે સરકારના કાર્યને બિરદાવ્યું હતું. દિવ્યાંગ સાહસિકો દ્વારા ઉત્પાદિત ચીજવસ્તુઓ ખરીદી કરવાની ઉમદાતક સુરતીજનોને મળી છે જેથી વધુમાં વધુ ચીજવસ્તુઓની ખરીદી કરવાની હિમાયત તેમણે કરી હતી.
આ મેળામાં જમ્મુ અને કાશ્મીર,ઉત્તર પૂર્વી રાજ્યો સહિત દેશના 20 રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશોમાંથી લગભગ 100 થી વધુ દિવ્યાંગ કારીગરો/કલાકારો અને ઉદ્યોગસાહસિકો તેમના ઉત્પાદનો અને કૌશલ્યોનું પ્રદર્શન કરશે. જેમાં ઘરની સજાવટ અને જીવનશૈલીના સામગ્રી, કપડાં, સ્ટેશનરીના સામાન, ફૂડ, ઓર્ગેનિક ઉત્પાદનો, રમકડાં, આભુષણો કલાત્મક ચિત્ર,પેઇન્ટિંગ જેવી ચીજવસ્તુઓ જોવા મળશે. દિવ્યાંગ કારીગરો દ્વારા બનાવેલ ચીજવસ્તુઓને ખરીદી વૉકલ ફોર લોકલ સુત્રને સાર્થક કરી દિવ્યાંગ કારીગરો દ્વારા બનાવેલા ઉત્પાદનોને ખરીદવાની તક સાંપડી છે.
આ મેળામાં ૨૪ દિવ્યાંગોને રૂ.એક કરોડ આઠ લાખની લોન મંજૂર કરવામાં આવી હતી. જેમાંથી નવ દિવ્યાંગોને ટોકન તરીકે લોન મંજૂર પત્રો આપવામાં આવ્યા હતા. અલીમ કંપની દ્વારા વિકલાંગોને કૃત્રિમ અંગોનું વિતરણ કરવામાં આવ્યા હતા. દશ દિવસીય દિવ્ય કલા મેળો સવારે 11.00 થી રાત્રે 9.00 વાગ્યા સુધી ખુલ્લો રહેશે. દિવ્યાંગ કલાકારો અને જાણીતા વ્યાવસાયિકો દ્વારા પ્રદર્શન સહિત અનેક સાંસ્કૃતિક પ્રવૃત્તિઓનો પણ સમાવેશ કરવામાં આવશે. આ કાર્યક્રમમાં પ્રવાસીઓ દેશના વિવિધ પ્રદેશોમાંથી તેમના મનપસંદ ખોરાકની પણ મજા માણી શકશે.
આ અવસરે એન.ડી.એફ.સી.ના ચીફ મેનેજીગ ડિરેકટર નવીન શાહ, બરોડા ગુજરાત ગ્રામીણ બેકના આસીસ્ટન્ટ મેનેજરશ્રી વી.એમ.બોરડીયા, જી.એસ.એસ.એફ.ડી.સી.ના અનીલાબેન પીપલીયા તથા મોટી સંખ્યામાં દિવ્યાંગ વિધાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.
હિન્દુસ્થાન સમાચાર/ યજુવેન્દ્ર દુબે/માધવી
