– શ્રી આર. એન. દીક્ષિત હાઈસ્કૂલ તરોપા ખાતે પરીક્ષા પર્વની ઉજવણી
– ન્યુ દિલ્હી ખાતેથી ઇન્સ્પાયર એવોર્ડ મેળવીને વિદ્યાર્થીની માહી પટેલે નર્મદા જિલ્લાને ગૌરવ અપાવ્યું
– શાળા પરિવાર તરફથી “માહી” ને રૂ. 10 હજારની પ્રોત્સાહક રાશિ એનાયત : પ્રતિભાશાળી વિદ્યાર્થીઓને સન્માનિત કરાયા
રાજપીપલા/અમદાવાદ,07 માર્ચ (હિ.સ.) રાજપીપલા વિભાગ ગ્રામ્ય કેળવણી મંડળ તરોપા સંચાલિત શ્રી આર.એન.દીક્ષિત હાઈસ્કૂલ તરોપા ખાતે નર્મદા જિલ્લા શિક્ષણાધિકારી ડો. કિરણ પટેલની પ્રેરક ઉપસ્થિતિમાં પરીક્ષા પર્વની ઉજવણી કરવામાં આવી હતી. ધો. 10-12 ના વિદ્યાર્થીઓનો વિદાય સમારંભ, પુસ્તક પ્રદર્શન સહિત તેજસ્વી તારલાઓના સન્માનનો આ ત્રિવેણી કાર્યક્રમમાં શિક્ષણાધિકારીએ બોર્ડના વિદ્યાર્થીઓને પરીક્ષાલક્ષી સલાહ આપી માર્ગદર્શન અને પુરુ પાડ્યું હતું.
આ પ્રસંગે ડો. કિરણ પટેલે જણાવ્યું કે, તમે આજે જે પડાવમાં છો એ તમારું ભાવિ નક્કી કરશે. બોર્ડની પરીક્ષા તમામ પરીક્ષાઓ જેવી જ છે. માત્ર માનસિકતાનો તફાવત છે. બાકી રહેલા દિવસોમાં સરળ વિષયોનો અભ્યાસ કરીને આત્મવિશ્વાસ સાથે પરીક્ષા આપવાની જરૂર છે. વધુમાં શિક્ષણાધિકારીએ પરીક્ષા ખંડમાં સૌ પ્રથમ ઉત્તરવહીમાં જરૂરી વિગતો ભર્યા બાદ ચિંતામુક્ત થઈને પરીક્ષા આપવા બાળકોને સમજણ પુરી પાડી હતી.
આ પ્રસંગે નર્મદા જિલ્લા આચાર્ય સંઘના પ્રમુખ અને શાળાના આચાર્ય નિલેશ વસાવાએ બાળકોને સમજાવ્યું કે, ધ્યેય વગર આગળ વધવું મુશ્કેલ છે, પરંતુ ધ્યેય નક્કી કર્યા બાદ ત્યાં સુધી પહોંચવાના દ્વાર આપોઆપ ખુલે છે. એક દિશા નક્કી કરીને આગળ વધશો તો સફળતા અવશ્ય મળશે.
જિલ્લા શિક્ષણાધિકારીના હસ્તે શાળાના પ્રતિભાશાળી વિદ્યાર્થીઓને સન્માનિત કરાયું હતું. ઉપરાંત, શાળા પરિવાર તરફથી ધો.10માં અભ્યાસ કરતી માહી સી.વસાવાને વિજ્ઞાન અને ટેક્નોલોજી ભવન ન્યુ દિલ્હી ખાતેથી ઇન્સ્પાયર એવોર્ડ મળ્યા બદલ શાળા પરિવાર તરફથી રૂ. 10 હજારનું પ્રોત્સાહક ઇનામ આપ્યું હતું. ગણિત-વિજ્ઞાન ક્ષેત્રે બાળકોની પ્રતિભાને ખિલવવા અને રૂચિ કેળવવા માટે આ એવોર્ડ આપવામાં આવે છે. માહી જિલ્લાની એક માત્ર વિદ્યાર્થીની છે જેને આ એવોર્ડ એનાયત કરાયો છે જે જિલ્લા માટે ગૌરવની બાબત છે.
ઉલ્લેખનીય છે કે, ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગર દ્વારા આયોજિત ધો.10-12 ની બોર્ડની પરીક્ષા સંદર્ભે નર્મદા જિલ્લા કલેક્ટર શ્વેતા તેવતિયાના વડપણ હેઠળ કલેક્ટર કચેરીના સભાખંડ ખાતે બેઠક યોજાઈ હતી. જેમાં પરીક્ષા કેન્દ્ર પર ઓબ્ઝર્વર તરીકેની ફરજ બજાવનાર અધિકારીઓને જવાબદારીઓ વિશે માર્ગદર્શિત કર્યા હતા. વધુમાં વિદ્યાર્થીઓને પરીક્ષા દરમિયાન કોઈ પણ પ્રકારે તકલીફ ન પડે, પરીક્ષા શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થાય તેમજ અન્ય સૂચારૂ વ્યવસ્થા ગોઠવવા કલેક્ટરએ પરીક્ષા સાથે સંકળાયેલા સંબંધિત અધિકારી-કર્મચારીઓને સૂચનાઓ આપ્યા હતા.
