ભાવનગર, 22 ઓકટોબર – મહુવાના વડલી ગામ પાસે આવેલ ખૂબ જ પ્રાચીન અને ઐતિહાસીક મહત્વ ધરાવતાં ભુતનાથ મહાદેવ મંદિરના પ્રાંગણમાં પૂજ્ય મોરારીબાપુના સંકલ્પથી અને તેઓનાં શ્રી મુખે ગવાનારી માનસ ભૂતનાથ રામ કથાનો આગામી શનિવાર 28 તારીખથી પ્રારંભ થશે. તલગાજરડા અને વડલી ગામની વચ્ચે ઉભાં કરાયેલા વિશાળ સમીયાણા આ કથાનું મંગલ ગાન થશે.
આ કથા વિશેષ રીતે મહત્વ એટલે ધરાવે છે કે પૂજ્ય મોરારીબાપુ એ ગત વર્ષે મહુવા ખાતેના ભવાની ભવાની મંદિર ખાતે યોજાયેલી રામકથામાં જાહેરમાં સંકલ્પ જાહેર કરીને દાનાભાઈ ફાફડાવાળાના યજમાન પદે કથા યોજવાની જાહેરાત કરેલી. તેનું નામાભિધાન માનસ ભૂતનાથ પણ તે જ કથામાં કરી દેવામાં આવ્યું હતું. આ કથા તલગાજરડાના વાયુમંડળની ૨૧મી કથા છે તથા પુ.બાપુના શ્રી મુખેથી ગવાયેલી કુલ કથાઓ પૈકીના ક્રમમાં 926મી કથા છે.
કથાના મનોરથી પરેશભાઈ ફાફડાવાળાએ જણાવ્યું કે, અમે માત્ર આ કથાના નિમિત માત્ર છીએ.પૂજ્ય બાપુના મનોરથને મૂર્તરૂપ આપવામાં અમે માધ્યમ બન્યા છીએ તેને અમે અમારા પરિવારનું સદભાગ્ય સમજીએ છીએ.
કથાની તૈયારીના ભાગરૂપે 190 વીઘા જમીનમાં વિશાળ કથા સ્થળ તૈયાર કરવામાં આવ્યું છે. તેમાં 30000 લોકો કથાનું શ્રવણ કરી શકે તેવો સવા લાખ ચોરસ ફુટનો મંડપ તૈયાર કરવામાં આવ્યો છે.તેમની બાજુમાં જ એક સાથે 10,000 લોકો ભોજન પ્રસાદ લઈ શકે તેવું પ્રસાદ ગ્હ બનાવવામાં આવ્યું છે. ભજન-ભોજનના આ ભવ્ય સત્કાર્યમાં મહુવા, ભાવનગર જિલ્લા સહિત દેશ દુનિયાના લોકોને પધારવા જાહેર અનુરોધ કરાયો છે.
