ભાવનગર/અમદાવાદ,11 ઓકટોબર : ભાવનગર જિલ્લાના મહુવા તાલુકાના કળસાર ગામે મંગળવારે ત્રિવેણી કલ્યાણ ફાઉન્ડેશન, ગ્રામ નિર્માણ સમાજ અને ગ્રામ દક્ષિણામૂર્તિ દ્વારા આયોજિત પ્રાકૃતિક કૃષિ પરિસંવાદમાં ખેડૂતો સાથે સંવાદ કરતાં પહેલાં રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ સભામંડપની પાછળના ખેતરમાં હળ ચલાવ્યું હતું.
ખેડૂતો રાસાયણિક ખેતીને બદલે પ્રાકૃતિક ખેતી કરતા થાય તો તદ્દન ઓછા ખર્ચે વધુ માત્રામાં અને સારી ગુણવત્તાવાળું ખેત ઉત્પાદન મળશે. જમીનની ફળદ્રુપતા પાછી આવશે. લોકોના સ્વાસ્થ્ય સુધરશે અને પર્યાવરણને પણ ફાયદો થશે. આ વાત વધુને વધુ ખેડૂતોને સમજાવવા રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ તમામ જિલ્લાઓમાં ખેડૂતો સાથે પ્રાકૃતિક કૃષિ પરિસંવાદો કર્યા. હવે તેઓ તાલુકે-તાલુકે જઈને ખેડૂતોને તેમના હિતની વાત સમજાવી રહ્યા છે.
આચાર્ય દેવવ્રતજી સ્વયં પણ ખેડૂત છે. હરિયાણામાં ગુરુકુળ કુરુક્ષેત્ર પ્રાકૃતિક ફાર્મની 180 એકર જેટલી જમીનમાં તેઓ આઠ વર્ષથી પ્રાકૃતિક ખેતી કરી રહ્યા છે. જાતે પ્રાકૃતિક ખેતી કર્યા પછી, તેના ફાયદા જાતે જોયા-જાણ્યા પછી હવે તેઓ પ્રાકૃતિક ખેતી કરવા કિસાનોને સમજાવી રહ્યા છે.
