
– તાલાલામાં 10 લાભાર્થીઓને આપવામાં આવ્યો ઉજ્જવલા યોજનાનો લાભ
સોમનાથ/અમદાવાદ,25 ડિસેમ્બર (હિ.સ.) સરકારની વિવિધ યોજનાઓનો લાભ પાત્રતા ધરાવતા તમામ લાભાર્થીને આપવામાં આવે અને સરકારની તમામ યોજનાઓનો વધુમાં વધુ ગ્રામજનો પણ લાભ લે તેવા શુભહેતુસર ગીર સોમનાથમાં ‘વિકસિત ભારત સંકલ્પ યાત્રા’નું ગ્રામ્ય વિસ્તારમાં પરિભ્રમણ થઈ રહ્યું છે ત્યારે આ યાત્રા અંતર્ગત તાલાલા મુકામે કાજલબહેન.બી.ચુડાસમાએ ઉજ્જવલા યોજનાનો સુખદ અનુભવ વર્ણવ્યો હતો.
વિકસિત ભારત સંકલ્પ યાત્રા અંતર્ગત તાલાલામાં કુલ 10 લાભાર્થીઓને ઉજ્જવલા યોજનાનો લાભ આપવામાં આવ્યો હતો. ‘મેરી કહાની, મેરી જુબાની’ અંતર્ગત કાજલબહેને જણાવ્યું હતું કે, ‘ઉજ્જવલા યોજનાથી ઘણો જ ફાયદો થયો છે. આ યોજનાના કારણે હવે સમયની બચત થાય છે અને રસોઈ બનાવવાનું પણ સરળ બન્યું છે. પહેલા લાકડાના બળતણથી ધુમાડો થતો અને આંખમાં બળતરા થતી હતી. જેથી રસોઈ કરવામાં સમય પણ વધુ જતો હતો અને મુશ્કેલી થતી હતી. હવે આ તમામ અગવડતાઓમાંથી છુટકારો મળ્યો છે. હું વડાપ્રધાન નરેન્દ્ર મોદી સહિત સમગ્ર સરકારનો આભાર માનું છું કે મને આ યોજનાનો લાભ આપવામાં આવ્યો.’
નોંધનીય છે કે વિકસિત ભારત સંકલ્પ યાત્રાના માધ્યમથી ગીર સોમનાથમાં હર ઘર જલ- જલજીવન મિશન, દીનદયાલ અંત્યોદય યોજના, જીવન જ્યોતિ વીમા યોજના, સુરક્ષા વીમા યોજના, અટલ પેન્શન યોજના, નેનો ફર્ટીલાઇઝર યોજના સ્વામિત્વ યોજના જેવી વિવિધ યોજનાઓનો લાભ લોકોને ઘરઆંગણે જ મળી રહ્યો છે.
હિન્દુસ્થાન સમાચાર/
