કોલકાતા, નવી દિલ્હી, 21 ઓક્ટોબર : તૃણમૂલ કોંગ્રેસના સાંસદ મહુઆ મોઇત્રાની મુશ્કેલીઓનો અંત આવવાના કોઈ સંકેત દેખાઈ રહ્યા નથી. અદાણી ગ્રૂપના પ્રતિસ્પર્ધી ઉદ્યોગપતિ દર્શન હિરાનંદાની પાસેથી, કરોડો રૂપિયાની લાંચ લેવાના અને સંસદમાં પ્રશ્નો પૂછવાના ગંભીર આરોપો પર, તેની સામે પહેલેથી જ તપાસ ચાલી રહી છે. હવે તે પ્રકાશમાં આવ્યું છે કે, તેણે પોતાનું સંસદીય આઈડી (નેશનલ ઇન્ફોર્મેટિક્સ સેન્ટર-એનઆઈસી ખાતે બનાવેલ) અન્ય લોકો સાથે પણ શેર કર્યું છે. મહુઆ મોઇત્રા ભારતમાં હતી, ત્યારે પણ તેનું સંસદીય આઈડી દુબઈમાં લોગ ઈન હતું.
ઉલ્લેખનીય છે કે, આ આઈડીની વેબસાઈટ સમગ્ર દેશની સંસદીય પ્રણાલી સાથે સંબંધિત છે. જેના પર વડાપ્રધાન નરેન્દ્ર મોદીથી લઈને દેશના તમામ મંત્રીઓ અને સાંસદો સુધીની મહત્વપૂર્ણ ગુપ્ત માહિતી અપલોડ કરવામાં આવે છે. ઝારખંડના ગોડ્ડાથી બીજેપી સાંસદ નિશિકાંત દુબેએ ફરી એકવાર, આ મામલે લોકસભા સ્પીકર ઓમ બિરલાને પત્ર લખ્યો છે. તેમણે દાવો કર્યો હતો કે, નેશનલ ઈન્ફોર્મેટિક્સ સેન્ટર (એનઆઈસી)એ, તપાસ એજન્સીઓને આ માહિતી આપી છે.
નિશિકાંત દુબેએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર લખ્યું, ‘એક સાંસદે થોડા રૂપિયા માટે દેશની સુરક્ષા દાવ પર લગાવી દીધી. દુબઈમાં સાંસદનું આઈડી ખોલવામાં આવ્યું ત્યારે સાંસદ ભારતમાં હતા. સમગ્ર ભારત સરકાર, દેશના વડાપ્રધાન, નાણા વિભાગ, કેન્દ્રીય એજન્સીઓ આ એનઆઈસી પર છે. શું ટીએમસી (તૃણમૂલ) અને વિપક્ષે હજુ પણ રાજનીતિ કરવાની છે? આનો નિર્ણય જનતા કરશે.” એનઆઈસીએ આ માહિતી તપાસ એજન્સીને આપી છે.
હિરાનંદાનીએ આરોપો સ્વીકારી લીધા છે-
તે જ સમયે, મામલો પ્રકાશમાં આવ્યા પછી એથિક્સ કમિટીને આપેલા એફિડેવિટમાં, હિરાનંદાનીએ સ્વીકાર્યું છે કે,” તેણે મોઇત્રાના સંસદીય લોગિન આઈડીનો ઉપયોગ કર્યો છે. આ દ્વારા તેણે અદાણી ગ્રુપને લગતા પ્રશ્નો પણ અપલોડ કર્યા હતા.” તેણે આ કેસમાં સરકારી સાક્ષી બનવાની ઈચ્છા પણ વ્યક્ત કરી છે, જેના કારણે મહુઆ મોઈત્રાની મુશ્કેલીઓ વધવાની છે.
સાંસદ નિશિકાંત દુબેએ ફરિયાદ નોંધાવી છે-
નોંધનીય છે કે નિશિકાંત દુબે પહેલા જ મહુઆ મોઇત્રા પર આરોપ લગાવી ચૂક્યા છે કે,” તે લોકસભામાં સવાલ પૂછવા માટે બિઝનેસમેન દર્શન હિરાનંદાની પાસેથી પૈસા લે છે.” તેમનું કહેવું છે કે,”મહુઆ ઇરાદાપૂર્વક પૈસાના બદલામાં અદાણી જૂથ સામે સંસદમાં પ્રશ્નો પૂછે છે અને તેની સાથે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ગૃહમંત્રી અમિત શાહને જોડે છે. લોકસભાની એથિક્સ કમિટી, ભાજપના સાંસદની ફરિયાદની તપાસ કરી રહી છે.” સમિતિએ નિશિકાંત દુબેને તેમનુ મૌખિક નિવેદન નોંધવા માટે 26 ઓક્ટોબરે હાજર થવા જણાવ્યું છે.
નિશિકાંત દુબેએ આ અંગે ફરિયાદ નોંધાવી છે અને મહુઆ મોઇત્રાની સંસદ સભ્યપદ સમાપ્ત કરવાની માંગ કરી છે.
તૃણમૂલનું મૌન-
ખાસ વાત એ છે કે મહુઆ મોઇત્રાની પાર્ટી તૃણમૂલ કોંગ્રેસે આ મામલે મૌન જાળવી રાખ્યું છે અને હજુ સુધી કોઈ સ્પષ્ટ વલણ નથી આપ્યું.
