રાજકોટ, નવી દિલ્હી, 15 ફેબ્રુઆરી : રોહિત શર્મા 2024 મેન્સ ટી20 વર્લ્ડ કપમાં ભારતનું નેતૃત્વ કરશે. ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (બીસીસીઆઈ)ના સેક્રેટરી જય શાહે બુધવારે, રાજકોટમાં એક કાર્યક્રમમાં મીડિયા સાથે વાત કરતા આ વાત કરી હતી.
આ બીજી વખત હશે જ્યારે રોહિત, ટી-20 વર્લ્ડ કપમાં ભારતની આગેવાની કરશે. 2022માં પણ આવું કર્યું હતું.
ઓસ્ટ્રેલિયામાં રમાયેલી તે ટુર્નામેન્ટમાં, ભારત સેમિફાઇનલમાં અંતિમ ચેમ્પિયન ઇંગ્લેન્ડ સામે હારી ગયું હતું. તે પછી રોહિત ટી-20માં જોવા મળ્યો ન હતો. તેણે 2023માં એક પણ ટી-20 રમ્યો ન હતો. પરંતુ તેને જાન્યુઆરી 2024માં અફઘાનિસ્તાન સામેની, આગેવાની માટે બોલાવવામાં આવ્યો હતો. પસંદગીકારોના પગલાથી સંકેત મળે છે કે, જૂનમાં યુએસએ અને વેસ્ટ ઈન્ડિઝમાં રમાનારી વર્લ્ડ-કપમાં રોહિતનું નેતૃત્વ લગભગ નિશ્ચિત છે. શાહે આ વાતની પુષ્ટિ કરી હતી.
સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશન સ્ટેડિયમનું નામ બદલીને, નિરંજન શાહ ક્રિકેટ સ્ટેડિયમ રાખવા માટે આયોજિત એક કાર્યક્રમમાં બોલતા શાહે જણાવ્યું હતું કે, તે તાજેતરમાં, અફઘાનિસ્તાન શ્રેણીમાં નેતૃત્વ કરવા માટે એક વર્ષ પછી પરત ફરી રહ્યો છે. તેનો અર્થ એ છે કે, તે સ્વાભાવિક રીતે જ ટી-20 વર્લ્ડ-કપનું નેતૃત્વ કરશે.
રોહિતના નેતૃત્વ હેઠળ, ભારત ગયા વર્ષે, ઘરની ધરતી પર વનડે વર્લ્ડ-કપની ફાઇનલમાં હારી ગયું હતું, અને થોડા દિવસો પછી સૂર્યકુમાર યાદવ ઓસ્ટ્રેલિયા સામે ટી-20 ટીમનું નેતૃત્વ કરી રહ્યો હતો. સૂર્યકુમારે ડિસેમ્બરમાં, દક્ષિણ આફ્રિકામાં સૌથી ટૂંકા ફોર્મેટમાં પણ ભારતનું નેતૃત્વ કર્યું હતું અને મુંબઈ ઈન્ડિયન્સે જાહેરાત કરી હતી કે, હાર્દિક પંડ્યા રોહિત પાસેથી ફ્રેન્ચાઈઝીની કપ્તાની સંભાળશે. ત્યારબાદ, રોહિતે જાન્યુઆરીમાં અફઘાનિસ્તાન સામે વાપસી કરી હતી. પ્રથમ બે મેચમાં શૂન્ય પર આઉટ થયા પછી, તેણે અણનમ 121 રન બનાવ્યા અને પાંચ ટી-20 સદી ફટકારનાર પ્રથમ વ્યક્તિ બન્યો.
શાહે કહ્યું કે,” જ્યારે રોહિત વર્લ્ડ કપમાં ભારતનું નેતૃત્વ કરશે, ત્યારે હાર્દિક – જેણે 2023માં ઘણી શ્રેણીઓમાં, ટૂંકા ફોર્મેટમાં ભારતનું નેતૃત્વ કર્યું હતું – તે પ્રાથમિક લાંબા ગાળાનો વિકલ્પ રહેશે.” શાહે કહ્યું કે,” વન ડે- વર્લ્ડ-કપ દરમિયાન હાર્દિકની ઈજાને કારણે, ટૂંકા ગાળામાં રોહિતને પાછો બોલાવવો જરૂરી હતો. ટી-20માં, હાર્દિક ચોક્કસપણે ભવિષ્યમાં કેપ્ટન બનશે.”
તેણે કહ્યું, રોહિતમાં ક્ષમતા છે, અમે જાણીએ છીએ. જેમ કે તેણે વનડે વર્લ્ડ કપમાં બતાવ્યું હતું કે, જ્યાં અમે ફાઈનલ સુધી સતત 10 મેચ જીતી હતી. મને વિશ્વાસ છે કે, રોહિત શર્માની કેપ્ટન્સીમાં ભારત બાર્બાડોસમાં 2024 ટી-20 વર્લ્ડ-કપ જીતશે.”
