જૂનાગઢ/અમદાવાદ,26 જાન્યુઆરી : સંત, શૂરા અને એશિયાની શાન એવા ગીરના સાવજની ભૂમિ એવા જૂનાગઢ ખાતે ૭૫મા પ્રજાસત્તાક પર્વની પૂર્વ સંધ્યાએ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જિલ્લાને એક જ દિવસે 781 કરોડના 617 કામોની ભેટ આપી હતી.આ સાથે મુખ્યમંત્રીએ જૂનાગઢ મહાનગર, જિલ્લાના નગરો અને ગ્રામીણ વિસ્તારના વિકાસ માટે અઢી-અઢી કરોડની વિશેષ ગ્રાન્ટ ફાળવણીની જાહેરાત પણ કરી હતી. આ સાથે આવા રાષ્ટ્રીય પર્વ જન વિકાસના પર્વ બની ગયાનું તેમજ વિકસિત ભારત @2047ના સંકલ્પને સાકાર કરવા માટે, ગુજરાતના આગેકદમ હોવાનું પણ તેમણે જણાવ્યું હતું.
જૂનાગઢમાં રાજ્યકક્ષાના પ્રજાસત્તાક પર્વની પૂર્વ સંધ્યાએ, કૃષિ યુનિવર્સિટીના ક્રિકેટ ગ્રાઉન્ડમાં ભવ્ય સાંસ્કૃતિક‘સોરઠ ધરા સોહામણી’ કાર્યક્રમ યોજાયો હતો. જેમાં રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે જૂનાગઢવાસીઓને, પ્રજાસત્તાક પર્વની શુભકામના પાઠવી હતી. આ સાથે અહીંના પ્રજાજનોને સિંહ જેવા બહાદુર ગણાવતા તેમણે કહ્યું હતું કે, નવાબે જ્યારે જૂનાગઢને પાકિસ્તાનમાં ભેળવવાનો નિર્ધાર કર્યો ત્યારે, તમારા સિંહ જેવા પૂર્વજોએ માત્ર તેને ઝૂકાવ્યો, પણ નવાબને પાકિસ્તાન ભાગી જવા મજબૂર કર્યો.
જૂનાગઢના વિકાસ માટે મુખ્યમંત્રીએ કરેલી કરોડો રૂપિયાની જાહેરાતને, રાજ્યપાલએ વિકાસવર્ષા સાથે સરખાવી હતી. આ સાથે તેમણે કહ્યું હતું કે, આમ તો સમગ્ર ગુજરાત વિકાસના સોપાન નક્કી કરી રહ્યું છે. પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુજરાતમાં શરૂ કરાવેલી પહેલી વાઇબ્રન્ટ સમિટથી લઈને છેલ્લી સમિટ સુધીમાં લગભગ રૂ. 50 લાખ કરોડની રકમના એમ.ઓ.યુ. થયા છે. આ બધા નાણાં આવનારા પાંચ વર્ષમાં ગુજરાતમાં આવશે ત્યારે, ભારત તો 2047માં વિકસિત બનશે, પણ ગુજરાત તો આવનારા પાંચ વર્ષમાં જ વિકસિત બની જશે. ગુજરાત આર્થિક વિકાસના ક્ષેત્રે પણ સમગ્ર દેશનું રોલમોડેલ બનશે.
ગુજરાત પ્રાકૃતિક કૃષિના ક્ષેત્રે સમગ્ર દેશમાં પ્રથમ ક્રમે હોવાનું જણાવતા તેમણે કહ્યું હતું કે, દેશભરમાં પ્રાકૃતિક કૃષિ યુનિવર્સિટી શરૂ કરનારું ગુજરાત એકમાત્ર રાજ્ય છે. આગામી બે વર્ષમાં ગુજરાતની ખેતી ઝેર મુક્ત બને એ દિશામાં ગુજરાત સરકાર ખૂબ પરિશ્રમ કરી રહી છે.
જ્યારે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યના સૌ નાગરિક ભાઈ-બહેનોને 75મા પ્રજાસત્તાક પર્વની પૂર્વ સંધ્યાએ શુભેચ્છાઓ પાઠવતા જણાવ્યું હતું કે, આ 75મું પ્રજાસત્તાક પર્વ પણ આ વર્ષે આપણે ગરવા ગિરનારની ગોદમાં વસેલા આ જુનાગઢમાં જ જન ભાગીદારીથી જન ઉત્સવ તરીકે ઉજવી રહ્યા છીએ. જે જિલ્લામાં આવા પર્વ ઉજવાય ત્યાં લોકહિતના, પ્રજા કલ્યાણના અને સુવિધા સુખાકારીના કામોની અનેક ભેટ સરકાર આપે છે.
તેમણે જણાવ્યું હતું કે, વડાપ્રધાનએ સ્વતંત્રતા દિવસ, પ્રજાસત્તાક દિવસ જેવા રાષ્ટ્રીય પર્વ હોય જન જનને સાથે રાખીને વિરાસતના ગૌરવ સાથે વિકાસની નવી તરાહ ઊભી કરી હતી તેને આગળ ધપાવતા ગુજરાતે રાષ્ટ્રીય પર્વો છેક જિલ્લા કક્ષાએ જન ભાગીદારીથી ઉજવીને આ પર્વોને તેમણે વિકાસ પર્વ બનાવ્યા છે.
તેમણે કહ્યું હતું કે, એક જ દિવસમાં એક સાથે એક જ મંચ પરથી રૂ. 781 કરોડના 617 કામો આપવાનું સૌભાગ્ય મને મળ્યું છે.ગિરનાર પર્વત પરના યાત્રા સ્થાનકોએ આવતા પ્રવાસીઓને પાણીની સુવિધા આપવા તળેટીથી ગિરનાર અંબાજી મંદિર સુધી, નર્મદાનું પાણી પહોંચાડવા માટે ૪ હજાર મીટર લાંબી પાઇપલાઇન નાંખવા માટે રૂ.૨૫ કરોડનું આયોજન કરવામાં આવશે. આ ઉપરાંત જૂનાગઢના પરિક્રમા પથ પર કાયમી વ્યવસ્થાઓ કરવા માટે પણ, આયોજન હાથ ધરવામાં આવ્યું છે તેની વિગતો મુખ્યમંત્રીએ આપી હતી.
સંતોની ભૂમિ વિકાસમાં પાછળ નહીં રહે, તેની પ્રતિબદ્ધતા વ્યક્ત કરતા જૂનાગઢને વિકાસની તરાહમાં લાવવા માટે વોંકળાના ટૂંક જ સમયમાં લાઈનદોરીથી દબાણો દૂર કરી તેની સફાઈ કરવા સાથે કાળવા નદીને ઊંડી કરવા માટે તંત્રને જરૂરી સૂચનાઓ આપવામાં આવી છે.
પ્રજાસત્તાક પર્વના યજમાન જૂનાગઢ મહાનગર, જિલ્લાના નગરો અને ગ્રામીણ વિસ્તારોના વિકાસ માટે મહાનગરના વિકાસ કામો માટે મ્યુનિસિપલ કમિશનરને રૂ. અઢી કરોડ, જિલ્લાની નગરપાલિકાઓ વિસ્તારોના વિકાસ માટે જિલ્લા કલેકટરને રૂ. અઢી કરોડ અને ગ્રામ પંચાયતોના વિકાસ કામો માટે જિલ્લા વિકાસ અધિકારીને રૂ. અઢી કરોડ ફાળવવાની મુખ્યમંત્રીશ્રીએ જાહેરાત કરી હતી.
આ અવસરે 13 વ્યક્તિ વિશેષોનું જાહેર સન્માન કરવામાં આવ્યું હતું. તેમજ જૂનાગઢ વહીવટી તંત્ર દ્વારા પ્રકાશિત જિલ્લાની ગાથા વર્ણવતી ‘જાજરમાન જૂનાગઢ’નું પણ વિમોચન કરવામાં આવ્યું હતું. આ તકે રાજ્યપાલ તથા મુખ્યમંત્રીના હસ્તે વિકાસ કાર્યો માટે અઢી-અઢી કરોડના ચેક જિલ્લા કલેક્ટર, જિલ્લા વિકાસ અધિકારી તથા મહાનગર પાલિકા કમિશનરને એનાયત કરવામાં આવ્યા હતા.
આ કાર્યક્રમમાં જિલ્લા કલેક્ટર અનિલ રાણાવસિયાએ સ્વાગત પ્રવચન કર્યું હતું. આ સાથે, જિલ્લામાં રોડ-રસ્તા, વીજ સબસ્ટેશન, આરોગ્ય કેન્દ્ર, પાણી પુરવઠો, સોલિડ વેસ્ટ મેનેજમેન્ટના કામો એમ રૂ. 100 કરોડના 187 વિકાસ કામોના લોકાર્પણ, જિલ્લાના ગ્રામીણ વિસ્તારો સહિતના વિકાસને ગતિ આપતા 150 કામો રૂ. 88 કરોડના ખર્ચે હાથ ધરવા માટેનું ઈ-લોકાર્પણ અને ખાતમૂહુર્ત કરવામાં આવ્યું હતું.
