



ગાંધીનગર, ૩૧ ડિસેમ્બર (હિ.સ.): કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહે, ગાંધીનગર ખાતેથી આણંદમાં નિર્માણ પામનાર નેશનલ કો-ઑપરેટિવ ડેરી ફેડરેશન ઑફ ઇન્ડિયા (NCDFI)ના મુખ્યાલયનો વર્ચ્યુઅલ શિલાન્યાસ કર્યો હતો. આ પ્રસંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ ઉપસ્થિત રહ્યા હતા.
આ કાર્યક્રમ દરમિયાન ઉપસ્થિત મહાનુભાવો દ્વારા, ઈ-માર્કેટ પ્લેટફૉર્મ મારફતે વિવિધ ડેરી ઉત્પાદનો અને કૃષિ ઉપજોનો વેપાર કરનારા અને સેવાઓ પૂરી પાડનારા ડેરી સહકારી મંડળીઓના હિતધારકોના પ્રયાસોને સન્માનિત કરતા NCDFI ઈ-માર્કેટ એવોર્ડ્સ પણ એનાયત કરવામાં આવ્યાં હતાં. ભારતના ૨૫ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોના ૩૭ વિજેતા સંગઠનોને આ અન્વયે આ પુરસ્કારો એનાયત કરાયા હતા.
NCDFI મુખ્યાલયના શિલાન્યાસ પ્રસંગે કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિતભાઈ શાહે જણાવ્યું હતું કે, ભારતે આજે વિશ્વ સમક્ષ ડેરી અને દૂધ ઉત્પાદન ક્ષેત્રે અનેક બહુઆયામી લક્ષ્ય સિદ્ધ કર્યા છે. સહકારી ડેરી ઉદ્યોગથી માત્ર દૂધ ઉત્પાદક જ નહિ, પરંતુ સમગ્ર સમાજ, ગામ અને કૃષિ ક્ષેત્રને પણ અનેક લાભ મળે છે. તેમણે સહકારી ડેરીના લાભ ગણાવતા કહ્યું હતું કે, દરેક ગામ, દરેક જિલ્લા અને રાજ્યોમાં પણ દૂધ સંઘો કાર્યરત હોવાથી ગામડાના દૂધ ઉત્પાદકોને દૂધ સંઘ મારફત દૂધના પોષણક્ષમ ભાવ મળે છે, અને તેમનું શોષણ થતું અટકે છે.
તેમણે વધુમાં ઉમેર્યું કે, સહકાર ક્ષેત્રથી માત્ર દૂધના પોષણક્ષમ ભાવ જ નહિ, પરંતુ જિલ્લા દૂધ ઉત્પાદક સંઘો દ્વારા પશુઓની નસલ સુધારા, પશુ આરોગ્ય અને પશુ સારવારની પણ ચિંતા કરવામાં આવે છે. આ સાથે જ કુપોષિત બાળકોને પોષણયુક્ત દૂધ પહોંચાડીને સહકારી ડેરીઓ પોષણ અભિયાનમાં પણ પોતાનું મહત્વપૂર્ણ યોગદાન આપી રહી છે.
તેમણે અમદાવાદ જિલ્લાની સહકારી ડેરીનું ઉદાહરણ આપતા જણાવ્યું હતું કે, અમદાવાદ જિલ્લા દૂધ સંઘ દ્વારા સગર્ભા માતાઓને લાડુ વિતરણ કરવામાં આવે છે. જેથી તેઓ કુપોષણ મુક્ત બાળકને જન્મ આપી શકે.
કેન્દ્રીય સહકાર મંત્રીએ કહ્યું હતું કે, ગુજરાતથી શરુ થયેલી શ્વેત ક્રાંતિનો સાચો શ્રેય ગામડામાં પશુપાલન વ્યવસાય સાથે જોડાયેલી બહેનોને જાય છે. તે સમયે ડેરી અને ડેરી ટેકનોલોજીની કલ્પના પણ નહોતી, એ પ્રકારની ડેરી વ્યવસ્થા અને પરિસ્થિતિનું આજે રાજ્યમાં સર્જન થયું છે.
આજે દેશભરમાં ગુજરાત સહકારી ડેરી ક્ષેત્રે રોલ મોડલ તરીકે પ્રસ્થાપિત થયું છે. ભારતનું દરેક ગામ દૂધ ઉત્પાદનમાં અગ્રેસર બને અને ગામડે-ગામડે દૂધ સંઘો શરુ થાય તે માટે વિવિધ રાજ્યોની સહકારી ડેરીને રાષ્ટ્રીય ડેરી વિકાસ બોર્ડના (NDDB) માધ્યમથી જોડવાનું કામ શરુ કર્યું છે.
મંત્રી અમિત શાહે જણાવ્યું કે, આજે વિશ્વના કુલ દૂધ ઉત્પાદનમાં ભારત ૨૪ ટકા યોગદાન સાથે પ્રથમ છે, અને છેલ્લા ૮ વર્ષમાં ભારતના દૂધ ઉત્પાદનમાં ૫૧ ટકાનો માતબર વધારો થયો છે. જેમાં ગુજરાતનું યોગદાન પણ મહત્વપૂર્ણ છે. રાજ્યમાં ૧૯૪૬માં એક ડેરીએ દૂધ ઉત્પાદકોનું શોષણ કર્યું અને પરિણામે એક વિરાટ આંદોલન બાદ શ્વેત ક્રાંતિની શરૂઆત થઇ. તે જ સમયે અમૂલ અને રાષ્ટ્રીય ડેરી વિકાસ બોર્ડનો પણ ઉદય થયો.
આજે એ જ અમૂલનું ટર્ન ઓવર ૭૦ હજાર કરોડ છે અને અમૂલ ડેરી રોજનું ૪૦ હજાર લીટર દૂધ પ્રોસેસ કરે છે. માત્ર અમૂલ જ નહિ, ગુજરાતમાં ડેરી ક્ષેત્રમાં આજે અનેક પ્રતિષ્ઠિત બ્રાંડ પોતાનું યોગદાન આપી રહી છે. ગુજરાતની દરેક ગરીબ મહિલાને આત્મનિર્ભર બનાવવા સહકારી ડેરીઓ તરફથી અનેક પ્રયાસો થઇ રહ્યા છે.
તેમણે કહ્યું કે, વર્ષોથી આ તમામ સહકારી ડેરીઓને યોગ્ય માર્ગદર્શન આપવાનું કામ NCDFI કરે છે. NCDFI હવે આણંદ નજીક આવેલા વઘાસી ગામમાં ૭૦૦૦ ચો.મી. જમીન પર પોતાના નવા કાર્યાલય બનાવવા જઈ રહ્યુ છે, જે સૌર ઊર્જા સંચાલિત હશે.
વડાપ્રધાનના માર્ગદર્શન હેઠળ દેશમાં ડીજીટલ ક્રાંતિ આવી છે. છેલ્લા કેટલાક વર્ષોમાં ભારતના ડીજીટલ ટ્રાન્ઝેક્શનમાં પણ ખુબ જ વધારો આવ્યો છે. વિશ્વના અનેક દેશોએ ભારતની ઓનલાઈન પેમેન્ટ સીસ્ટમને આવકારી છે. ત્યારે કેન્દ્રીય સહકારી મંત્રીએ NCDFI ને અનુરોધ કર્યો હતો કે, પશુપાલન, દૂધ ઉત્પાદન અને ડેરી ક્ષેત્રે પણ વધુમાં વધુ ઓનલાઈન પેમેન્ટનો ઉપયોગ થાય. જેને માટે સરકાર દ્વારા દરેક ખેડૂતને RuPay કાર્ડ આપવાની પણ કામગીરી શરુ કરી દેવામાં આવી છે. તેમણે બનાસકાંઠાનું ઉદાહરણ આપતા કહ્યું કે, બનાસકાંઠા જિલ્લાના ૯૧ ટકા ખેડૂતોને RuPay કાર્ડ આપવામાં આવ્યા છે. અંતમાં કેન્દ્રીય સહકાર મંત્રીશ્રીએ NDDB અને NCDFIને વધુમાં વધુ ખેડૂતોને પ્રાકૃતિક ખેતી સાથે જોડવા માટે પ્રેરિત કરવા અનુરોધ કર્યો હતો.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે નેશનલ કો. ઓપરેટિવ ડેરી ફેડરેશનના આ નવા ભવનના શિલાન્યાસને વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વ અને દેશના પ્રથમ સહકાર મંત્રી અમિતભાઈ શાહના દિશાદર્શનમાં ‘સહકાર થી સમૃદ્ધિ’ની દિશામાં વધુ એક પહેલરૂપ ગણાવ્યો હતો.
તેમણે કહ્યું કે વડાપ્રધાનની વિઝનરી લીડરશીપને પરિણામે દેશમાં આઝાદીના દશકો બાદ પ્રથમ વાર અલગ સહકારીતા મંત્રાલય શરૂ થયું છે. એટલું જ નહીં, આ મંત્રાલયની જવાબદારી પણ સહકાર ક્ષેત્રના અગ્રણી અને સબળ નેતૃત્વ કર્તા અમિતભાઈ શાહને સોંપવામાં આવી છે.
મુખ્યમંત્રીએ જણાવ્યું કે, અમિતભાઈના નેતૃત્વ અને કુશાગ્ર માર્ગદર્શનમાં દેશના કો-ઓપરેટીવ સેક્ટરમાં નવા સોપાનો સર થઈ રહ્યા છે. તેમણે ઉમેર્યું કે, કૃષિ અને પશુપાલન દેશના અર્થતંત્રનો મજબૂત પાયો છે અને દૂધ ઉત્પાદન ક્ષેત્ર તેમાં અગ્રેસર છે. વડાપ્રધાનના નેતૃત્વમાં ભારતનું અર્થતંત્ર વિશ્વની પાંચમી મોટી અર્થવ્યવસ્થા ધરાવતું અર્થતંત્ર છે તેને આપણે ત્રીજા સ્થાને પહોંચાડવાનું લક્ષ્ય રાખ્યું છે.
વિકાસની આ યાત્રામાં પ્રાકૃતિક ખેતી, ગાય આધારિત ખેતી અને પશુપાલન-દૂધ ઉત્પાદનના વધુ વ્યાપક વિકાસ પર આપણે ફોકસ કરવું છે એમ ભુપેન્દ્ર પટેલે ઉમેર્યું હતું.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વિશ્વાસ વ્યક્ત કર્યો કે, NCDFIનું નવું ભવન ખેડૂતો-પશુપાલકોને આત્મનિર્ભર બનાવવા, નવી ટેકનોલોજી અને નવી પદ્ધતિઓની તાલીમ આપવામાં ભવિષ્યનું પ્રવૃત્તિ કેન્દ્ર બનશે.
તેમણે માસ પ્રોડક્શનને બદલે પ્રોડક્શન બાય માસ એ ગુજરાતના ડેરી ઉદ્યોગની આગવી ઓળખ છે તેનો ઉલ્લેખ કરતા કહ્યું કે, વડાપ્રધાનના ડિજિટલ ભારતને વેગ આપતાં રાજ્યમાં, ૨૫ લાખ જેટલા દૂધ ઉત્પાદકોને રોજના અંદાજે ૧૫૦ કરોડ રૂપિયા DBTથી ઈ-ટ્રાન્સફર દ્વારા ચૂકવવામાં આવે છે.
ડેરી સેક્ટરને ડિજિટલ પ્લેટફોર્મ પર લઈ જઈને ઈ-માર્કેટથી ઇફેક્ટિવ પ્રાઇસ સાથે બલ્ક પર્ચેઝ અને રિસોર્સ યુટીલાઈઝેશનને વધુ સરળ બનાવવા અંગે તેમણે NCDFIની પ્રવૃત્તિઓની સરાહના કરી હતી.
સૌના સાથ, સૌના વિકાસના ધ્યેય અને સહકારિતાની ભાવના વધુ સુદ્રઢ બનાવી દૂધ ઉત્પાદન-વેચાણમાં અમૃતક્રાંતિથી વડાપ્રધાનએ આપેલા વિકસિત ભારત@૨૦૪૭ સંકલ્પને સાકાર કરવા મુખ્યમંત્રીએ આ તકે આહવાન કર્યું હતું.
NCDFIના સંક્ષિપ્ત વૃતાંત, તેની વિકાસયાત્રાની વિગતો, હાંસલ કરેલા સીમાચિહ્નો અને તેના દ્વારા હાથ ધરવામાં આવતી વિવિધ પ્રવૃત્તિઓનો સમાવેશ કરતી એક કૉફી ટેબલ બૂકનું, મંત્રી અમિત શાહના હસ્તે વિમોચન કરવામાં આવ્યું હતું.
વર્ષ ૨૦૨૨-૨૩ દરમિયાન પ્લાન્ટમાંથી થયેલા બિઝનેસ પર આધાર રાખીને ટોચના ત્રણ એવોર્ડ્સ વિજેતાને સન્માનિત કરાયા હતા. જેમાં નંદિની (કર્ણાટક), મધર ડેરી (દિલ્હી) અને આવિન (તામિલનાડુ)નો સમાવેશ થાય છે. નિરંતર માર્ગદર્શન અને આશ્રય આપવા બદલ NDDBને પ્રશંસા પુરસ્કાર એનાયત કરવામાં આવ્યો હતો. આથી વિશેષ, ગુજરાતમાંથી ઈ-માર્કેટ એવોર્ડ્સ પ્રાપ્ત કરનારા વિજેતાઓમાં અમૂલ (GCMMF), કૈરા મિલ્ક યુનિયન, સાબરકાંઠા મિલ્ક યુનિયન, વલસાડ મિલ્ક યુનિયન, માહી મિલ્ક પ્રોડ્યૂસર્સ કંપની અને વિદ્યા ડેરીનો સમાવેશ થાય છે.
તે જ રીતે, આ પુરસ્કાર સમારંભ દરમિયાન આંદમાન અને નિકોબાર, અસમ, બિહાર, કેરળ, મધ્ય પ્રદેશ, મહારાષ્ટ્ર, પોંડેચેરી, રાજસ્થાન, સિક્કીમની અન્ય ડેરી સહકારી મંડળીઓને પણ પુરસ્કારો એનાયત કરવામાં આવ્યો હતો. આ સંગઠનોના ચેરમેન/ડિરેક્ટરો અને ચીફ એક્ઝિક્યુટિવ્સ સહિતના ખેડૂત અગ્રણીઓએ આ પુરસ્કારો સ્વીકાર્યા હતા.
NCDFIના કાર્યાલય ભવનના શિલાન્યાસ પ્રસંગે ડો. મંગલ જીત રાયે સ્વાગત પ્રવચન આપતા જણાવ્યું હતું કે, આજના દિવસે જ અયોધ્યામાં વડાપ્રધાનએ એરપોર્ટનું ઉદઘાટન કર્યું છે. અને આજના જ શુભ દિવસે NCDFIના નવા કાર્યાલય ભવનનું શિલાન્યસ કરવામાં આવ્યું છે. NCDFI એ સહકારી ડેરી ક્ષેત્રનું સર્વોચ્ચ સંગઠન છે. જેનું નવું કાર્યાલય સહકારીતા ક્ષેત્રની નૈતિકતા, ઉત્કૃષ્ટતા અને વિશ્વાસનું પ્રતીક બનશે.
NCDFIના મેનેજિંગ ડિરેક્ટર શ્રીનિવાસ સજ્જાએ NCDFIના ઑફિસ બિલ્ડિંગના શિલાન્યાસ સમારંભ અને ઈ-માર્કેટ એવોર્ડ્સ માટે આભાર પ્રવચન આપ્યું હતું.
આ કાર્યક્રમમાં ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરી, NCUI અને IFFCOના ચેરમેન દિલીપ સાંઘાણી, નેશનલ ડેરી ડેવલપમેન્ટ બૉર્ડ (NDDB)ના ચેરમેન ડૉ. મીનેશ શાહ તથા સમગ્ર ભારતમાંથી ડેરી સહકારી મંડળીઓના વડાઓ, નેશનલ કૉઑપરેટિવ ડેરી ફેડરેશન્સના પ્રતિનિધિઓ, રાષ્ટ્રીય સ્તરની અન્ય સહકારી મંડળીઓના પ્રતિનિધિઓ, ખેડૂતો-પશુપાલકો ઉપસ્થિત રહ્યા હતા.
હિન્દુસ્થાન સમાચાર/ અભિષેક બારડ/માધવી
