
અમદાવાદ,05 જાન્યુઆરી (હિ.સ.) શહેરના ઘોડાસર વિસ્તારમાં આવેલા આલોક બંગલોમાં પાર્ક કરેલી એક કારમાં આગ લાગતા અન્ય ત્રણ કાર પણ ભડભડ બળવા લાગી હતી. અચાનક ચાર કારમાં આગ લાગતાની સાથે ચકચાર મચી ગયો હતો. ગુરૂવારે મોડી રાતે પાર્ક કરેલી ચાર કારમાં આગ લાગી ગઇ હતી.અમદાવાદના ઘોડાસર વિસ્તારમાં સ્મૃતિ મંદિર રોડ પર આવેલા આલોક પુષ્પક બંગ્લોઝમાં પાર્ક કરેલી ગાડીઓમાં વિશાળ આગ લાગી હતી. વહેલી સવારે આગ લાગતા સ્થાનિક જાગી ગયા હતા. આગને પગલે લોકોમાં ભાગદોડ મચી જવા પામી હતી. ઘટનાની ફાયરબ્રિગેડની ટીમને જાણ કરતા બે ગાડીઓ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. ગાડીમાં લાગેલી આગ વધુ ફેલાઈને અન્ય ત્રણ ગાડીને પણ ઝપેટમાં લઈ લીધી હતી. ફાયરબ્રિગેડની ટીમે આગને કાબુમાં મેળવી લીધી હતી. આગ એટલી વિકરાળ થઈ ગઈ હતી કે તેની જાળ બંગલા સુધી પહોંચી ગઈ હતી. જોકે, રહીશો પહેલા જ બહાર નીકળી ગયા હતા.
ઘોડાસર વિસ્તારમાં આવેલા આલોક બંગલોમાં રહીશોએ લાઇનસર કાર પાર્ક કરી હતી. જેમાં પાર્ક કરેલી ચાર કારમાં અચાનક આગ લાગતા રહીશોએ આસપાસની કારને પણ બાજુમાં ખસેડી લીધી હતી. તેમની આ સતર્કતાને કારણે વધારે આગ લાગતા અટકી છે.જોકે, આ કારમાં કેમ અને કયા કારણોસર આગ લાગી છે તે અંગેનું હાલ કોઇ કારણ સામે આવ્યું નથી. સદનસીબે આ દુર્ઘટનામાં કોઇ જાનહાનીના સમાચાર સામે આવ્યા નથી.
હિન્દુસ્થાન સમાચાર//હર્ષ શાહ
