– રાજ્ય સરકાર દ્વારા રુ. 1.50 લાખની સહાય પ્રાપ્ત થઈ, મહિલાઓને સખી મંડળ દ્વારા રોજગારી અપાવશું : પારુલ ચુડાસમા
અમરેલી/અમદાવાદ,06 માર્ચ (હિ.સ.) આજે સમગ્ર દેશની સાથે રાજ્યભરમાં વડાપ્રધાન
નરેન્દ્ર મોદીની વર્ચ્યુઅલ ઉપસ્થિતિમાં નારી શક્તિ વંદના કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમમાં
પશ્ચિમ બંગાળથી વડાપ્રધાન અને પાટણ ખાતેથી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલેની ગરિમામય
ઉપસ્થિતિમાં રાજ્યમાં 13 હજારથી વધુ સ્વસહાય જૂથની 1 લાખ 30 હજારથી વધુ મહિલાઓને 250 કરોડથી વધુની સહાય વિતરણ કરવામાં આવ્યું હતું.
આ કડીના ભાગરુપે અમરેલી જિલ્લાના ધારી ખાતે યોજાયેલા કાર્યક્રમમાં સાંસદ નારણ
કાછડીયા અને ધારાસભ્ય જે.વી. કાકડીયા તેમજ જિલ્લા કલેકટર અજય દહિયા અને જિલ્લા
વિકાસ અધિકારી પંડ્યાની પ્રેરક ઉપસ્થિતિમાં સ્વ સહાય જૂથોની મહિલાઓને વિવિધ યોજનાકીય સહાયનું વિતરણ કરવામાં આવ્યું હતું. સહાય પ્રાપ્ત કરનાર જૂથોમાં ખાંભાના જય મચ્છુ મા સખી મંડળનો પણ સમાવેશ થાય છે. 10 મહિલાઓનું આ સખી મંડળ આગામી 8 માસ પહેલા સક્રિય થયું હતું અને તેમને આત્મનિર્ભરતા અને સ્વ રોજગાર માટે રાજ્ય સરકાર દ્વારા રુ.1.50 લાખની સહાય આપવામાં આવી છે. રાજ્ય સરકારનો આભાર વ્યક્ત કરતા પારુલ ચુડાસમાએ જણાવ્યું કે, હું આંગણવાડી કાર્યકર છું. મને આઠેક મહિના પહેલા આ અંગે વિચાર આવ્યો અને અમે સખી મંડળની રચના કરી હતી. મહિલાઓને ગમતી પ્રવૃત્તિઓ અને સ્વરોજગાર સખી મંડળના માધ્યમથી મળશે. અમે ગૃહ ઉદ્યોગ દ્વારા મહિલાઓને રોજગારી અપાવશું. સખી મંડળના માધ્યમથી અનેકવિધ પ્રવૃત્તિઓ થઈ શકે છે જેના માટે આજે અમને અનુદાન પણ મળ્યું છે. રાજ્ય સરકારનો ખૂબ ખૂબ આભાર.
અમરેલી જિલ્લા પાંચ વિધાનસભા મત વિસ્તારોમાં આયોજિત નારીશક્તિ વંદના કાર્યક્રમમાં જિલ્લાના સ્વસહાય જૂથોને રિવોલ્વિંગ ફંડ, કેશ-ક્રેડિટ, કોમ્યુનિટી ઈન્વેસ્ટમેન્ટ ફંડ, સ્ટાર્ટઅપ ફંડ, પીજી ફંડ માટે રુ.255.20 લાખની સહાયનું વિતરણ કરવામાં આવ્યું છે, જેના દ્વારા મહિલાઓ માટે આર્થિક અને સામાજિક ઉન્નતિના દ્વાર ખુલશે.
