
સુરત/અમદાવાદ,09 જાન્યુઆરી (હિ.સ.) અયોધ્યામાં રામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ પૂર્વે આયોજિત કલા સંસ્કૃતિ મહાકુંભમાં રાજકોટના કલાકાર પ્રદીપ દવેએ પાણીમાં મેજિક રંગોળી અને પાણી ઉપર ભગવાન રામ અને રામમંદિરની રંગોળીનું સર્જન કરી પ્રતિકૃતિ બનાવી હતી.
ભગવાન શ્રીરામની જન્મભૂમિ અયોધ્યા ખાતે આ વિશિષ્ટ પ્રકારની કલા અને વિજ્ઞાનના સંયોજનથી પ્રદીપ દવેએ પાણીની અંદર મેજિક રંગોળી અને પાણી ઉપર રંગોળી અંતર્ગત ભગવાન શ્રીરામની પ્રતિકૃતિ તૈયાર કરી હતી અને પાણીની અંદર રંગોળીમાં અયોધ્યા મંદિરની 3D રંગોળીનું નિર્માણ કર્યું હતું. આ કલા મહાકુંભમાં વિવિધ કલાકારીગીરી જેવી કે ચિત્રકામ, મહેંદી કામ, પર્યાવરણ અને વૃક્ષ બચાવો, કવિતા લેખન, મૂર્તિ કલા, વકતૃત્વ સ્પર્ધા, રંગોળી યોજાઈ હતી. સ્થાનિક વિદ્યાર્થીઓએ પણ ભાગ લીધો હતો. સ્વદેશ સંસ્થાન સંસ્કૃતિ કલા મહાકુંભમાં તેમને અયોધ્યા કલારત્ન એવોર્ડથી સન્માનિત કરાયા હતા.
આ કાર્યક્રમમાં પર્યાવરણ સંરક્ષણના કાર્યક્રમમાં 70 દેશોના પ્રતિનિધિઓ તેમજ દેશના અગ્રણી નાગરિકો,મહાનુભાવો, અયોધ્યાના સંતો-મહંતો ઉપસ્થિત રહ્યા હતા. તેમણે પોતાની કલાને ભગવાન શ્રીરામના ચરણોમાં અર્પિત કરી હતી.
હિન્દુસ્થાન સમાચાર/
