નવી દિલ્હી, 29 ડિસેમ્બર 2025:
પારદર્શક અને નાગરિક કેન્દ્રિત શાસનને વધુ મજબૂત બનાવવા માટે દિલ્હી સરકાર મુખ્યમંત્રી રેખા ગુપ્તાના નેતૃત્વ હેઠળ ભારતીય ટેક્નોલોજી સંસ્થા (IIT) કાનપુરના સહયોગથી એઆઈ આધારિત ઇન્ટેલિજન્ટ ગ્રિવન્સ મોનિટરિંગ સિસ્ટમ (IGMS) શરૂ કરવા જઈ રહી છે.
આ પહેલનો હેતુ હાલની ફરિયાદ નિવારણ વ્યવસ્થાને આધુનિક બનાવી તેને વધુ કાર્યક્ષમ, પારદર્શક અને ઝડપી બનાવવાનો છે. આ નવી પ્રણાલી દ્વારા વિવિધ ફરિયાદ પ્લેટફોર્મોને એક જ ડિજિટલ સિસ્ટમમાં જોડવામાં આવશે, જેથી નાગરિકોની ફરિયાદોનું ઝડપી અને અસરકારક નિવારણ શક્ય બનશે.
હાલમાં દિલ્હી ના નાગરિકો PGMS, LG Listening Post, CPGRAMS તથા અન્ય વિભાગીય પોર્ટલ્સ મારફતે ફરિયાદો નોંધાવે છે. પરંતુ એકીકૃત વ્યવસ્થા ના અભાવે ઘણીવાર ફરિયાદોમાં વિલંબ, પુનરાવર્તન અને સંકલનનો અભાવ જોવા મળે છે. નવી ઇન્ટેલિજન્ટ ગ્રિવન્સ મોનિટરિંગ સિસ્ટમ આ સમસ્યાનો ઉકેલ લાવશે અને તમામ ફરિયાદોને એક કેન્દ્રિય ડેશબોર્ડ પર લાવશે.
IIT કાનપુર દ્વારા વિકસાવવામાં આવતી આ એઆઈ આધારિત સિસ્ટમમાં મશીન લર્નિંગ, સેમેન્ટિક એનાલિસિસ અને ડેટા એનાલિટિક્સ જેવી આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ થશે. અધિકારીઓ એક જ પ્લેટફોર્મ પરથી ફરિયાદોની સ્થિતિ જોઈ શકશે, તેનું રિયલ-ટાઈમ મોનિટરિંગ કરી શકશે અને સમયસર નિવારણ સુનિશ્ચિત કરી શકશે.
આ સિસ્ટમમાં નીચેની મહત્વપૂર્ણ સુવિધાઓ હશે:
-
ફરિયાદોની આપમેળે વિભાગવાર ફાળવણી
-
વારંવાર આવતી સમસ્યાઓનું રૂટ-કોઝ એનાલિસિસ
-
વિભાગોની કામગીરીનું મૂલ્યાંકન
-
ખોટી અથવા પુનરાવર્તિત ફરિયાદો દૂર કરવા સ્પેમ ફિલ્ટર
-
OCR ટેકનોલોજી દ્વારા હસ્તલિખિત અને સ્કેન કરેલા દસ્તાવેજોનું ડિજિટાઈઝેશન
આ પ્રોજેક્ટ હેઠળ IIT કાનપુર સિસ્ટમ ઇન્ટિગ્રેશન, સાયબર સુરક્ષા ઓડિટ, વલ્નરેબિલિટી એસેસમેન્ટ, પેનેટ્રેશન ટેસ્ટિંગ તેમજ લાંબા ગાળાની ટેક્નિકલ જાળવણી કરશે. સિસ્ટમને આવનારા સમયમાં વધતી ફરિયાદોની સંખ્યાને ધ્યાનમાં રાખીને તૈયાર કરવામાં આવી છે.
આ પ્રસંગે માહિતી ટેકનોલોજી મંત્રી પંકજ કુમાર સિંહે જણાવ્યું કે દિલ્હી સરકાર આધુનિક ટેક્નોલોજીના માધ્યમથી શાસન વ્યવસ્થાને વધુ પારદર્શક અને અસરકારક બનાવી રહી છે. તેમણે કહ્યું કે આ એઆઈ આધારિત ફરિયાદ નિવારણ પ્રણાલી નાગરિકો અને સરકાર બંનેને સશક્ત બનાવશે તેમજ ઝડપી નિર્ણય લેવામાં મદદરૂપ થશે.
તેમણે વધુમાં જણાવ્યું કે આ પ્રણાલી માત્ર ટેકનિકલ સુધારો નથી, પરંતુ નાગરિકો અને સરકાર વચ્ચે વિશ્વાસ વધારવાનું મહત્વપૂર્ણ પગલું છે. દરેક ફરિયાદનું યોગ્ય વિશ્લેષણ અને સમયસર નિવારણ કરીને જાહેર સેવાઓની ગુણવત્તામાં નોંધપાત્ર સુધારો લાવવાનો સરકારનો ઉદ્દેશ છે.
આ એઆઈ આધારિત સિસ્ટમ દિલ્હી માટે ડિજિટલ ગવર્નન્સના ક્ષેત્રમાં એક મહત્વપૂર્ણ માઇલસ્ટોન સાબિત થશે અને સમાવેશક, પારદર્શક અને કાર્યક્ષમ પ્રશાસનના સરકારના દ્રષ્ટિકોણને પ્રતિબિંબિત કરે છે.
