નવી દિલ્હી, 20 ફેબ્રુઆરી: ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડે, મંગળવારે ઈન્દિરા ગાંધી નેશનલ ઓપન યુનિવર્સિટી (ઇગ્નુ)ના 37માં દીક્ષાંત સમારોહને સંબોધિત કરતા કહ્યું કે,’ વિદ્યાર્થીઓએ માત્ર કોચિંગ ક્લાસ પર નિર્ભર ન રહેવું જોઈએ.’
દીક્ષાંત સમારોહ દરમિયાન, ધનખડે દેશભરના ઇગ્નુના તમામ 69 પ્રાદેશિક કેન્દ્રોમાંથી અભ્યાસ પૂર્ણ કરનારા ત્રણ લાખ આઠ હજાર 605 વિદ્યાર્થીઓને ડિજિટલ માધ્યમથી ક્લિક કરીને ડિગ્રી એનાયત કરી. તેમના સંબોધન દરમિયાન તેમણે જણાવ્યું હતું કે,’ આજે વિદ્યાર્થીઓએ સરકારમાં સારી જગ્યાઓ મેળવવા માટે સ્પર્ધાત્મક પરીક્ષાઓથી આગળ વિચારવું જોઈએ અને હવે તેમને ઉપલબ્ધ તકોની શોધ કરવી જોઈએ.’
તમામ પાસાઓમાં ભારતની વૃદ્ધિની વાર્તાનો ઉલ્લેખ કરતા, ઉપરાષ્ટ્રપતિએ ભારપૂર્વક જણાવ્યું કે,’ રાષ્ટ્ર હવે તેના સંસાધનો દ્વારા વ્યાખ્યાયિત નથી, તેના બદલે, દેશ હવે તેની અમર્યાદિત ક્ષમતાનો અહેસાસ કરી રહ્યો છે. ભારતે એક રાષ્ટ્ર તરીકે પોતાની જાતને મજબૂત રીતે સ્થાપિત કરી છે.’ તેમણે વિદ્યાર્થીઓને કહ્યું કે,’ તેઓ એવા ભારતમાં પ્રવેશી રહ્યા છે જે હવે સુષુપ્ત અવસ્થામાંથી જાગૃત અવસ્થામાં આવી ગયું છે.’
દેશમાં સક્ષમ ઇકોસિસ્ટમ પર પ્રકાશ પાડતા, તેમણે વિદ્યાર્થીઓને વિકાસની આ અવિશ્વસનીય ગતિનો લાભ લેવા, પારદર્શિતાનો ઉપયોગ કરવા અને આર્થિક વિકાસના દૃશ્યનો લાભ લેવા અને તકોને વ્યક્તિગત શ્રેષ્ઠતામાં રૂપાંતરિત કરવા વિનંતી કરી.
ઉપરાષ્ટ્રપતિએ કહ્યું કે,’ અસાધારણ માળખાકીય વિકાસ, વ્યાપક ટેકનોલોજીના યુગમાં પ્રવેશ, ડિજિટાઈઝેશનની ઝડપી ગતિ અને પારદર્શક અને જવાબદાર શાસન માટેની પ્રતિબદ્ધતા હવે માત્ર ગુંજારવ નથી પરંતુ વાસ્તવિકતા છે.’
તેમણે કહ્યું કે,’ નવી દિલ્હીમાં આયોજિત જી-20 સમિટ ભારતીય નેતૃત્વનું પ્રમાણપત્ર બની ગયું છે. વિદ્યાર્થીઓને યાદ અપાવતા કે, તેઓ ટ્રાન્સફોર્મેટિવ ટેક્નોલોજીના નવા પ્રવાહોથી ચાલતા વિશ્વમાં પ્રવેશ કરી રહ્યા છે.” ઉપરાષ્ટ્રપતિએ વિદ્યાર્થીઓને ભારત@2047ના, સાચા સૈનિકો બનવા માટે આવી તકનીકોને અપનાવવા આહ્વાન કર્યું. તેમણે કહ્યું કે,” ભારતની ગતિશીલ સ્ટાર્ટઅપ સંસ્કૃતિએ વિશ્વનું ધ્યાન આકર્ષિત કર્યું છે.” તેમણે કહ્યું કે,” કેટલીક મહાન નવીનતાઓ અને સફળતાઓ એવી વ્યક્તિઓની શોધ છે, જેમણે બોક્સની બહાર વિચારવાની હિંમત કરી છે, જેમણે નિર્ભયપણે યથાસ્થિતિને પડકાર્યો છે.”
