વડોદરા, 18 જાન્યુઆરી(હિ. સ.)-વડોદરાના મોટનાથ તળાવમાં વિદ્યાર્થીઓથી ભરેલી બોટ પલટી મારી ગઈ હતી. ઘટનાની જાણ થતાં ફાયર ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ છે. આ ઘટના 7 બાળકો અને 2 શિક્ષકોના મોત થયા છે, જ્યારે રેસ્ક્યુ કરેલા અન્ય વિદ્યાર્થીઓને હોસ્પિટલ ખસેડાયા છે. હાલ ઘટનાસ્થલે 10 એમ્બ્યુલન્સની ટીમ પહોંચી છે. રાહત અને બચાવ કામગીરી ચાલી રહી છે.
મળતી માહિતી અનુસાર, વડોદરાની ન્યૂ સન રાઈઝ સ્કૂલના 82 વિદ્યાર્થીઓ મોટનાથ તળાવની મુલાકાતે પહોંચ્યા હતા, જેમાંથી 4 શિક્ષકો અને 23 વિદ્યાર્થીઓ બોટીંગ કરી રહ્યા હતા, જોકે આ દરમિયાન અચાનક બોટ પલટી મારી જતા વિદ્યાર્થીઓ તળાવમાં ડૂબ્યા હતા. ફાયર વિભાગને જાણ કરતા તાત્કાલિક સ્થળ પર ટીમ દોડી આવી હતી. ફાયર વિભાગ દ્વારા હાલ બાળકોનું રેસ્ક્યુ કરવામાં આવી રહ્યું છે. આ ઘટનાની જાણ થતા જ ઉચ્ચ અધિકારીઓ સાથે કલેક્ટર પણ ઘટનાસ્થળે પહોંચી ગયા છે.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે દુઃખ વ્યક્ત કર્યું
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ‘X’ પર લખ્યું, વડોદરાના હરણી તળાવમાં બોટ પલટી જતાં બાળકોના ડૂબવાની ઘટના અત્યંત હૃદયવિદારક છે. જાન ગુમાવનાર નિર્દોષ બાળકોના આત્માની શાંતિ માટે પ્રાર્થના કરું છું. દુ:ખની આ ઘડીમાં તેમના પરિવારજનો પ્રત્યે આત્મીય સંવેદના વ્યક્ત કરું છું. પરમકૃપાળુ પરમાત્મા તેમને આ દુ:ખ સહન કરવાની શક્તિ આપે. તંત્ર દ્વારા બોટમાં સવાર વિદ્યાર્થીઓ અને શિક્ષકની બચાવ કામગીરી હાલ ચાલુ છે. દુર્ઘટનાનો ભોગ બનનારાને રાહત અને સારવાર તાકીદે મળે તે માટે તંત્રને સૂચના આપી છે.
હિન્દુસ્થાન સમાચાર/ યજુવેન્દ્ર દુબે/બિનોદ
