સુરત,04 નવેમ્બર (હિ.સ.) આગામી દિવાળીના પાવન પર્વની ઉજવણીને વધુ ખાસ બનાવવા અમી ચેરિટેબલ ટ્રસ્ટ અને મોટા મંદિર યુવક મંડળના સંયુક્ત ઉપક્રમે 9 થી 12 નવેમ્બર દરમિયાન ‘હર ઘર રંગોળી-અમૃત્તકાળ રંગોળી સ્પર્ધા’ યોજાશે. જેના પોસ્ટરનું સર્કીટ હાઉસ ખાતે અનાવરણ કરી કેન્દ્રીય રેલ્વે અને ટેક્ષટાઈલ રાજ્યમંત્રી શ્રીમતી દર્શનાબેન જરદોશે ‘અમૃત્તકાળ રંગોળી સ્પર્ધા-2023’નો શુભારંભ કરાવ્યો હતો.
આ પ્રસંગે કેન્દ્રીય મંત્રીએ જણાવ્યું કે, રંગોળીના વિવિધ રંગો ઘરની શોભા વધારે જ છે, સાથોસાથ માનસિક શાંતિ અને સકારાત્મક ઊર્જા પ્રદાન કરે છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ભારતની આઝાદીનો અમૃતકાળ વધુ દિવ્ય અને ભવ્ય બન્યો છે. ઉપરાંત, આગામી જાન્યુઆરી-2024માં અયોધ્યામાં પ્રભુશ્રી રામનું નૂતન ભવ્ય મંદિર સાકાર થશે, ત્યારે આપણામાં રહેલી કલા અને સર્જનાત્મક ભાવને ‘અમૃત્ત કાળ રંગોળી સ્પર્ધા’ના માધ્યમથી હિન્દુ નુતન વર્ષનું સ્વાગત કરવા, ભગવાન શ્રીરામને આવકારવા અને દેશવાસીઓને નૂતન વર્ષની શુભકામના પાઠવવા અપીલ કરી હતી. તેમણે સુરતના નાગરિકો ઘરના આંગણમાં વધુને વધુ રંગોળી બનાવી ભારતીય સંસ્કૃતિને વધુ ઓજસ્વી બનાવવા પર ભાર મૂક્યો હતો.
મંત્રીએ સુરત શહેર-જિલ્લાના કોઈ પણ નાગરિકો આ સ્પર્ધામાં ભાગ લઈને દિપાવલીના પર્વની ઉમંગભેર ઉજવણી કરે એવો ભારપૂર્વક અનુરોધ કર્યો હતો.
આ પ્રસંગે મેયર દક્ષેશ માવાણી, અમી ચેરિટેબલ ટ્રસ્ટના પ્રમુખ ભાવના દેસાઈ, મોટા મંદિર યુવક મંડળના પ્રમુખ સંજય દલાલ, અગ્રણી નેહલ દેસાઈ સહિત કોર્પોરેટરો, સામાજિક અગ્રણીઓ અને શહેરીજનો ઉપસ્થિત રહ્યા હતા.
હિન્દુસ્થાન સમાચાર/ યજુવેન્દ્ર દુબે/હર્ષ શાહ
