સુરત, સુરત પાલિકા દ્વારા શહેરમાં સામુહિક પરિવહન સેવા માટે કરોડો રૂપિયાનો ખર્ચ કરવામાં આવે છે પરંતુ પાલિકાની સિટી અને બીઆરટીએસ બસના ઓપરેટરોની લાપરવાહીના કારણે સામુહિક પરિવહન સેવા વિવાદમાં આવી રહી છે. આ પહેલાં ડ્રાઈવર કન્ડક્ટર કારણે વિવાદ થયો હતો. આજે પાલિકાની બસના મેઇન્ટેનન્સના મુદ્દે મોટો વિવાદ થયો છે. પાલિકાની બસનું મેઈન્ટેનન્સ યોગ્ય રીતે થતું ન હોય આજે એક બસમાં મુસાફરી કરતા મુસાફરોના જીવ તાળવે ચોંટ્યા હતા. સુરતના અડાજણ ઋષભ ચાર રસ્તા પાસે સિટી બસનો દરવાજો ખોટકાઈ સેન્ટ્રલ લોક થઈ જતા મુસાફરોમાં ગભરાટ ફેલાયો હતો ત્યાર બાદ ગભરાયેલા મુસાફરોએ ડ્રાઈવર કેબિનમાંથી બહાર નીકળવું પડ્યું હતું.
આજે અડાજણ વિસ્તારમાં ઋષભ ચાર રસ્તા પરથી પસાર થતી એક બસ ખોટકાઈ ગઈ હતી. બસ બંધ થયા બાદ ડ્રાઈવરે બસ ચાલુ કરવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ તેમાં સફળતા મળી ન હતી. ત્યારબાદ મુસાફરોને ચઢવા ઉતરવાનો દરવાજો છે તે સેન્ટ્રલ લોક થઈ ગયો હતો. મુસાફરો દરવાજાથી ઉતારવાનો પ્રયાસ કરતા હતા પરંતુ દરવાજો ખુલ્યો ન હતો તેથી મુસાફરોના જીવ તાળવે ચોંટ્યા હતા. દરવાજો ન ખુલતા મુસાફરો ગભરાઇ ગયા હતા ગભરાયેલા મુસાફરોએ બહાર નિકળવા માટે ભારે ધમપછાડા કર્યા હતા પરંતુ દરવાજો ખુલ્યો જ ન હતો. દરવાજો ન ખુલતા ડ્રાઈવર કેબિનનો દરવાજો ખોલીને મુસાફરો એક બાદ એક બહાર નીકળ્યા હતા.
