નવી દિલ્હી, 17 ફેબ્રુઆરી : ભારતના અનુભવી ઑફ-સ્પિનર રવિચંદ્રન અશ્વિન, કૌટુંબિક તબીબી કટોકટીના કારણે તાત્કાલિક અસરથી ટેસ્ટ ટીમમાંથી ખસી ગયો છે. અશ્વિન હવે ચાલી રહેલી ત્રીજી ટેસ્ટ મેચમાં નહીં રહે. બીસીસીઆઈએ શુક્રવારે રાત્રે સત્તાવાર નિવેદનમાં આની પુષ્ટિ કરી.
બીસીસીઆઈ ની એક પ્રેસ રિલીઝમાં કહેવામાં આવ્યું છે કે, “પારિવારિક મેડિકલ ઈમરજન્સીને કારણે અશ્વિન તાત્કાલિક અસરથી ટેસ્ટ ટીમમાંથી ખસી ગયો છે. ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (બીસીસીઆઈ) અને ટીમ આ પડકારજનક સમયમાં અશ્વિનને સંપૂર્ણ સમર્થન આપે છે.
બીસીસીઆઈએ વધુમાં કહ્યું, “બીસીસીઆઈ ચેમ્પિયન ક્રિકેટર અને તેના પરિવારને હાર્દિક સમર્થન આપે છે. ખેલાડીઓ અને તેમના પ્રિયજનોનું સ્વાસ્થ્ય અને સુખાકારી ખૂબ જ મહત્વપૂર્ણ છે. બોર્ડ અશ્વિન અને તેના પરિવારની ગોપનીયતાનો આદર કરવા વિનંતી કરે છે, કારણ કે તેઓ આ પડકારજનક સમયમાંથી પસાર થઈ રહ્યા છે. બોર્ડ અને ટીમ અશ્વિનને તમામ જરૂરી સમર્થન આપવાનું ચાલુ રાખશે અને જરૂરીયાત મુજબ સહાય પૂરી પાડવા માટે વાતચીતના રસ્તા ખુલ્લા રાખશે. ટીમ ઈન્ડિયા આ સંવેદનશીલ સમયે ચાહકો અને મીડિયાની સમજણ અને સહાનુભૂતિની પ્રશંસા કરે છે.”
ત્રીજી ટેસ્ટ મેચની વાત કરીએ તો આ મેચમાં ભારતે પ્રથમ બેટિંગ કરીને 445 રન બનાવ્યા હતા. જવાબમાં બીજા દિવસની રમતના અંતે ઈંગ્લેન્ડે 2 વિકેટે 207 રન બનાવી લીધા હતા. અશ્વિને જેક ક્રોલીને આઉટ કરીને તેની 500મી ટેસ્ટ વિકેટ લીધી હતી.
