– ભક્તકવિ નરસિંહ મહેતા યુનિવર્સિટી તથા ગુજરાત સાહિત્ય અકાદમી ગાંધીનગરના સયુંકત ઉપક્રમે નિર્માણ પામનાર આંતરરાષ્ટ્રીય સંશોધન કેન્દ્રનું મંત્રી મુળુ બેરાના હસ્તે ખાતમુહૂર્ત : ધારાસભ્ય, મેયર સહિતના મહાનુભાવોની ઉપસ્થિતિ
– જે કામ કરો તેમાં નરસિંહ મહેતાજીની માફક પૂરો ભરોસો હોવો જોઈએ : ધારાસભ્ય સંજય કોરડીયાની વિદ્યાર્થીઓને શીખ
– નરસિંહ મહેતાના એક એક પદને દુનિયા સમક્ષ મુકીને સમાજોપયોગી સંશોધન કરાશે : ડો.ભાગ્યેશ જહા
– નરસિંહ મહેતા સંશોધન કેન્દ્રથી સાહિત્ય, ધર્મ, સંસ્કૃતિ અને ભક્તિ દ્વારા સમગ્ર જૂનાગઢ વિસ્તાર ગુંજી ઉઠશે : કુલપતિ પ્રો.(ડૉ.)ચેતન ત્રિવેદી
જુનાગઢ/અમદાવાદ,24 જાન્યુઆરી (હિ.સ.) ગુજરાત સાહિત્ય અકાદમી ગાંધીનગર અને ભક્તકવિ નરસિંહ મહેતા યુનિવર્સિટી જુનાગઢના સયુંકત ઉપક્રમે રૂ.15 કરોડના ખર્ચે આકાર લેનાર નરસિંહ મહેતા આંતરરાષ્ટ્રીય સંશોધન કેન્દ્રનું રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ વિભાગના મંત્રી મુળુ બેરાના વરદહસ્તે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું.
આ પ્રસગે અધ્યક્ષસ્થાનેથી મંત્રી મુળુ બેરાએ જણાવ્યું હતું કે આ સંશોધન કેન્દ્રથી સંશોધન, અનુવાદ અને સંરક્ષણ થકી નરસિંહ મહેતાજીનો સાહિત્ય વારસો જીવંત થશે. તેઓએ વૈષ્ણવજન ગાન, કૃષ્ણ ભક્તિ, સાહિત્ય ઉપર નરસિંહ મહેતાનો પ્રભાવ, નરસિંહ મહેતાના જીવન પ્રસંગો જેવા કે કુંવરબાઈનું મામેરું, શામળસા શેઠની હૂંડી, વસુદૈવ કુટુંબકમ વિગેરે વિષે પણ મનનીય વક્તવ્ય આપ્યું હતું.
જૂનાગઢના ધારાસભ્ય સંજય કોરડીયાએ વિદ્યાર્થીઓને શીખ આપતા જણાવ્યું હતું કે જે કામ કરો તેમાં નરસિંહ મહેતાજીની માફક પૂરો ભરોસો હોવો જોઈએ. ભરોસો, વિશ્વાસ અને ભક્તિનો ત્રિવેણી સંગમ એટલે નરસિંહ મહેતાજી. ધારાસભ્યએ ગઈકાલે થયેલ શ્રી રામ મંદિર પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવને યાદ કરીને સાચા રામ રાજ્યની સ્થાપના થવાનો દૃઢ વિશ્વાસ પણ વ્યક્ત કર્યો હતો.
ભક્તકવિ નરસિંહ મહેતા યુનિવર્સિટીના કુલપતિ પ્રો.(ડૉ.)ચેતનભાઈ ત્રિવેદીએ જણાવ્યું હતું કે ગુજરાતના એકમાત્ર કવિ-સર્જક નરસિંહ મહેતાજીના નામ ઉપર રાજ્યના રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ વિભાગ દ્વારા 15 કરોડ રૂપિયાનું માતબર દાન અપાયું છે ત્યારે નરસિંહ મહેતા સંશોધન કેન્દ્રથી સાહિત્ય, ધર્મ, સંસ્કૃતિ અને ભક્તિ દ્વારા સમગ્ર જૂનાગઢ વિસ્તાર ગુંજી ઉઠશે. તેઓએ શ્રી કૃષ્ણ ભગવાને નરસિંહ મહેતાને ૫૨ વખત તાદર્શ દર્શન આપ્યા હતા તેનો પણ ઉલ્લેખ કર્યો હતો.
ગુજરાત સાહિત્ય અકાદમી ગાંધીનગરના અધ્યક્ષ ડો.ભાગ્યેશ જહાએ જણાવ્યું હતું કે આજે પણ કરતાલ વગાડતા નજરે પડતા નરસિંહ મહેતાના એક એક પદને દુનિયા સમક્ષ મુકીને આ સંશોધન કેન્દ્ર દ્વારા સંશોધન કરાશે અને ભારતની સાંસ્કૃતિક ધરોહરોને પણ વિશ્વ સમક્ષ મુકાશે. તેઓએ ઋષિ વાલ્મીકી. સંત તુલસીદાસ, ઉપનિષદ, ગીતા વિગેરેનો ઉલ્લેખ કર્યો હતો અને આદિ શંકરાચાર્ય પછી ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીને યુગપુરુષ તરીકે ગણાવ્યા હતા.
નરસિંહ વંદના રૂપે ‘વૈષ્ણવજન’ ગાનથી શરુ થયેલ કાર્યક્રમમાં સ્વાગત પ્રવચન તથા સંશોધન કેન્દ્ર વિશેની સંપૂર્ણ માહિતી ગુજરાત સાહિત્ય અકાદમી ગાંધીનગરના મહામાત્ર ડો.જયેન્દ્રસિંહ જાદવે આપી હતી.
