
– છેવાડાના નાગરિકોનું કલ્યાણ થાય અને તેઓ મુખ્ય પ્રવાહમાં જોડાય તેની કાળજી રાજ્ય સરકાર રાખે છે : મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ
– વ્યસન મુક્તિનો સંદેશ આપતા બે પુસ્તકોનું મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ તથા પૂજ્ય દીપક દેસાઈના હસ્તે વિમોચન
અમરેલી/અમદાવાદ,23 નવેમ્બર (હિ.સ.) ‘પરમ પૂજ્ય દાદા ભગવાનના 116મા જન્મ જયંતિ મહોત્સવ’નું અમરેલી ત્રિમંદિર ખાતે ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આજે અહીં ઉપસ્થિત રહી મહોત્સવમાં જોડાયા હતા. અમરેલી લીલીયા રોડ પર આવેલા ત્રિમંદિર ખાતે વિશાળ ડોમમાં આયોજિત સત્સંગ સભામાં પધાર્યા બાદ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ તથા સંપ્રદાયના પૂજ્ય દીપકભાઈએ દીપ પ્રાગટ્ય સાથે સાત દિવસીય મહોત્સવનો પ્રારંભ કરાવ્યો હતો. આ સાથે મુખ્યમંત્રીએ મોટી સંખ્યામાં ઉપસ્થિત ભાવિકો સાથે સત્સંગ માણ્યો હતો. આ તકે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ઉપસ્થિત ભાવિકોને સંબોધતા કહ્યું હતું કે, છેવાડાના નાગરિકોનું કલ્યાણ થાય અને તેઓ મુખ્ય પ્રવાહમાં જોડાય તેની કાળજી રાજ્ય સરકાર રાખે છે. હાલમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં દેશમાં પ્રજાજનો માટે ઘણાં સારાં કામો થઈ રહ્યાં છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા થઈ રહેલા પ્રજાજનોના કલ્યાણ માટેના કાર્યોનો સૌથી વધુ લાભ ગુજરાત રાજ્યને મળ્યો છે, તેમ મુખ્યમંત્રીએ ઉમેર્યું હતું.
આ મહોત્સવના શુભારંભ પ્રસંગે વ્યસન મુક્તિનો સંદેશ અને પ્રેરણા આપતાં બે પુસ્તકનું વિમોચન પણ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ તથા પૂજ્ય દીપક દેસાઈના હસ્તે કરવામાં આવ્યું હતું. આ તકે મુખ્યમંત્રીએ મહોત્સવમાં આવેલા થીમ પાર્કની મુલાકાત લીધી હતી અને સદ્દગુણોના સિંચનની પ્રેરણા આપતી શોર્ટ ફિલ્મ પણ નિહાળી હતી.
આ કાર્યક્રમમાં સાંસદ નારણ કાછડિયા, જિલ્લા પંચાયત પ્રમુખ ભરત સુતરીયા, નાયબ મુખ્ય દંડક કૌશિક વેકરિયા, ધારાસભ્ય સર્વ મહેશ કસવાલા, જે.વી.કાકડીયા, જનક તળાવીયા, હિરા સોલંકી, રેન્જ આઈ.જી. ગૌતમ પરમાર, કાર્યકારી જિલ્લા કલેકટર અને જિલ્લા વિકાસ અધિકારી દિનેશ ગુરવ, જિલ્લા પોલીસ વડા હિમકર સિંઘ, જિલ્લા ભાજપ પ્રમુખરાજેશ કાબરીયા, અમરેલી જિલ્લા વહીવટી તંત્ર તથા મહાનુભાવો પણ જોડાયા હતા.
હિન્દુસ્થાન સમાચાર/
