નવસારી,11 નવેમ્બર (હિ.સ.) પ્રભુ મહાવીરના 2550 નિર્વાણ વર્ષના પ્રારંભના ઉ૫લક્ષમાં શ્રી વીર નિર્વાણ મહોત્સવ ઉજવણી કાર્યક્રમ ગૃહ રાજયમંત્રી હર્ષ સંઘવીની પ્રેરક ઉપસ્થિતિમાં શ્રી આદિનાથ શ્વે.મૂ.પૂ.જૈન સંઘ, શાંતાદેવી રોડ, નવસારી ખાતે યોજાયો હતો.
આ પ્રસંગે ગૃહ રાજયમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે, નવસારી નગરમાં ભગવાન મહાવીર સ્વામીના 2550 નિર્વાણ વર્ષના મહોત્સવમાં અવસર પ્રાપ્ત થયો છે. જે બદલ આભાર વ્યકત કર્યો હતો. જૈન સંઘના ટ્રસ્ટ્રીઓએ ભગવાન મહાવીરના વિચારોને બાળકોને સુધી પહોંચાડી તેમના જીવનમાં ઉજાસ લાવવા જણાવ્યું હતું. ભગવાન મહાવીરના વિચારોને જૈન સમાજ સુધી મર્યાદિત ન રાખતા દરેક સમાજ સુધી પહોંચાડવા જણાવ્યું હતું. આ અવસરે મંત્રીએ રાજય સરકારની વિવિધ યોજનાઓની જાણકારી આપી તેનો લાભ લેવા પણ જણાવ્યું હતું.
રાજયમંત્રી હર્ષ સંઘવીએ આશાનગર નવસારી ખાતે સ્વામી વિવેકાનંદ યુવા બોર્ડ આયોજીત વસ્ત્રદાન કાર્યક્રમમાં જણાવ્યું કે, યુવક બોર્ડ દ્વારા અપીલ કરવામાં આવી છે અને એક સંકલ્પ કરવામાં આવ્યો છે કે, ગુજરાતના સૌ નાગરિકો દિવાળી પૂર્વે સાફ સફાઇ કરવામાં આવે છે. કામ વગરની વસ્તુઓ કાઢી નાંખવામાં આવે છે. જેને ગુજરાતના યુવક બોર્ડ દ્વારા ગુજરાતમાં એક લાખ થી વધારે ઘરોમાં જઇને તેમના જૂના કપડા મેળવીને સામાન્ય અને ગરીબ લોકોને વસ્ત્ર પહોંચાડવાની કામગીરી હાથ ધરવામાં આવશે. ગરીબોના ઘરમાં દિવાળીનો પ્રકાશ વધે તેવા પ્રયાસ કરવામાં આવશે. આ પ્રસંગે નવસારી ધારાસભ્ય રાકેશ દેસાઇ, જિલ્લા ભાજપ પ્રમુખ ભુરાભાઇ શાહ, જિલ્લા પોલીસ અધિક્ષક સુશીલ અગ્રવાલ, નવસારી-વિજલપોર નગરપાલિકા પ્રમુખ મીનલ દેસાઇ, જૈન શ્રેષ્ઠીઓ, નગરજનો ઉપસ્થિત રહયાં હતાં.
હિન્દુસ્થાન સમાચાર/ યજુવેન્દ્ર દુબે/હર્ષ શાહ
