ભુજ – કચ્છ, 19 ઓગસ્ટ (હિ.સ.)
ભુજના પોશ વિસ્તારમાં જેની ગણના થાય છે એવા ગાયત્રી મંદિર રોડ,સંસ્કારનગર,અબ્બાસ અલી પીર માર્ગ,યોગીરાજ પાર્ક,સત્યમ સોસાયટી,કવિનગર,મંગલમ, સંસ્કાર નગર, મારુતિ પ્લોટ્સ, સહિતના વિસ્તારના રહેવાસીઓ વીજધાંધિયાની સતત વકરતી સમસ્યાથી ભારે ત્રસ્ત બન્યા છે. તોબા પોકારી ઊઠેલા આ વિસ્તારના રહેવાસીઓએ આક્રોશ સાથે જણાવ્યું કે,હવે અમારી ધીરજ ખૂટી છે. આ પ્રશ્ને હવે અમે લડી લેવાના મૂડમાં છીએ.
તહેવારોમાં ૩ કલાક વીજ પુરવઠો ઠપ
આ વિસ્તારના અગ્રણી ડો. રામભાઇ ગઢવી, નરેન્દ્રભાઈ સહિતના લોકોએ રોષ સાથે જણાવ્યું કે,જન્માષ્ટમી જેવા તહેવારના દિવસે પણ સતત ત્રણ કલાક સુધી વીજ પુરવઠો બંધ રહેતાં લોકો બફારાથી બેહાલ થયા હતા. વરસાદ હોય કે ન હોય આ તમામ વિસ્તારમાં વીજધાંધિયા થવા હવે રોજિંદા બની ગયા છે. થોડા સમય પહેલાં વીજતંત્રના અધિકારીઓ સ્થાનિકે આવ્યા હતા,ત્યારે તેમણે આ વિસ્તારને અલાયદું ફીડર આપવાની વાત કરી હતી. જો કે,આ વાતનું અમલીકરણ કાગળ પર જ રહ્યું છે.
ફીડરમાં વિભાજન કરીને અધકચરું કામ કરાયું
નવું ફીડર આપવાના બદલે પીજીવીસીએલે અધકચરું કામ કરી આ વિસ્તારને રઘુવંશી અને સરપટ ગેટ ફીડરમાં વિભાજિત કરી દેતાં વીજસમસ્યા ઘટવાને બદલે વધી ગઇ છે. રહેવાસીઓના જણાવ્યા અનુસાર આ સમસ્યાના ઉકેલ માટે લોડ વધારો કરવા,થ્રી ફેઇઝ જોડાણ લેવા સહિતમાં અમે વીજતંત્રને સહયોગ આપ્યો છે. વધુમાં આ વિસ્તારના લોકો વીજબિલ ભરવામાં નિયમિતતા કેળવતા હોવા છતાં શા કારણે પશ્ચિમ ગુજરાત વીજ કંપની અમને બાનમાં લે છે તેવો વેધક સવાલ રહેવાસીઓ દ્વારા ઉઠાવાયો હતો.
ફરીથી લડત ઉપાડવી પડે તેવી સ્થિતિ
વીજધાંધિયાથી કંટાળેલા લોકોએ થોડા સમય પહેલાં આ સમસ્યાથી કંટાળીને મીટર જમા કરાવવા,સાંસદ-ધારાસભ્યનું ધ્યાન દોરવા સહિતની તૈયારી દેખાડી હતી,પણ વીજતંત્રના અધિકારીઓએ સ્થાનિકે આવીને ખાતરી આપતાં અમે આ તમામ લડતના કાર્યક્રમો પાછા ઠેલ્યા હતા,પણ આ બધી જાહેરાતો ઠાલા આશ્વાસન સમાન સાબિત થતાં ફરીથી આ સમસ્યાના કાયમી ઉકેલ માટે લડતનું રણશિંગુ ફૂંકવાની તૈયારી આદરી દીધી છે.
હિન્દુસ્થાન સમાચાર / BHAVIN KAILASHCHANDRA VORA
