
અમરેલી/અમદાવાદ,17 નવેમ્બર (હિ.સ.) અમરેલી જિલ્લાના લાઠી તાલુકાનો વિસ્તાર એટલે ખારાશવાળો સૂકો પટ. માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના માર્ગદર્શનમાં અહીંના લોકોની પાણીની કુદરતી અછતની તકલીફ દૂર કરવા રાજ્ય સરકારે જળસંચયની અનેકવિધ પહેલ હાથ ધરી છે. આવી જ એક અદ્ભુત પહેલ એટલે દુધાળા ગામે આયોજિત ગુજરાતનો સૌપ્રથમ દસ-દિવસીય જળ ઉત્સવ, જેનો રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી અને સાથી મંત્રીઓની ઉપસ્થિતિમાં શુભારંભ કરાવ્યો.
ગુજરાત સરકાર અને ધોળકિયા ફાઉન્ડેશન દ્વારા આયોજિત જળ ઉત્સવ અંતર્ગત લોકમેળા, વોટર સ્પોર્ટ્સ, સાંસ્કૃતિક કાર્યક્રમો,ટેન્ટ સિટી, હોર્સ શૉ, બર્ડ પાર્ક જેવા વિવિધ આકર્ષણો સહેલાણીઓ માટે ખૂબ મજાના બની રહેશે. વળી, આ ઉત્સવ થકી જળસંરક્ષણ અંગે મોટા પાયે જનજાગૃતિ પણ ફેલાશે. મુલાકાત જરૂર લેશો.
દુધાળા ગામ નજીક ગાગડિયો નદી પર ગુજરાત સરકાર અને ધોળકિયા ફાઉન્ડેશન દ્વારા લોકભાગીદારીથી નદીને ઊંડી અને પહોળી કરવાનું ભગીરથ કાર્ય હાથ ધરાયું છે. નદીની 25 કિ.મી લંબાઈમાં 15 કિ.મીનું કામ પૂર્ણ થઈ ચૂક્યું છે. સાથે જ, ચેકડેમોના કામ પણ પ્રગતિ હેઠળ છે. જળસંરક્ષણના આ કાર્યો આ સમગ્ર વિસ્તારને જળસમૃદ્ધ બનાવશે.
જળની અગત્યતાને સુપેરે જાણીને માનનીય પ્રધાનમંત્રીએ દેશવાસીઓને અમૃત સરોવરોના નિર્માણનું દૂરંદેશીપૂર્ણ આહવાન કર્યું છે, જેને ઝીલી લઈને ગુજરાત સરકારે દરેક જિલ્લામાં 75 અમૃત સરોવરોનું નિર્માણ કર્યું છે. આજના આ અવસરે, પાણીને પરમેશ્વરના પ્રસાદની જેમ વાપરીને તેના સંરક્ષણનો ખાસ અનુરોધ આપ સૌને કરું છું.
હિન્દુસ્થાન સમાચાર/
