સુરત, 20 ડિસેમ્બર(હિ. સ.)-રાજ્યમાં યોગાભ્યાસ થકી નાગરિકોને નિરોગી બનાવવાના નવતર અભિગમ સાથે ગુજરાત રાજ્ય યોગ બોર્ડ અને સુરત મહાનગરપલિકાના સંયુક્ત ઉપક્રમે સૂર્ય નમસ્કાર મહાઅભિયાનનો શુભારંભ સુરત મહાનગરપાલિકાના તમામ 30 ઈલેક્શન વોર્ડમા કરવામાં આવ્યો હતો. સુરત મહાનગરપાલિકાના 30 ઇલેક્શન વોર્ડમાં સૂર્ય નમસ્કાર સ્પર્ધામાં સ્પર્ધકોએ ઓનલાઈન રજીસ્ટ્રેશન કરાવ્યું હતું. જેમાં 09 થી 18 વર્ષ, 19 થી 40 વર્ષ અને 41 થી વધુ વયની કેટેગરીના આશરે 9100 ભાઇઓ તેમજ 8900 બહેનો મળી કુલ આશરે 18000 યોગપ્રેમીઓ જોડાયા હતા. સુર્ય નમસ્કાર મહાઅભિયાન તા.૦૧ જાન્યુઆરી 2024 સુધી યોજવામા આવશે.
મ્યુ. કમિશ્નરશ્રી શાલિનિ અગ્રવાલના માર્ગદર્શન હેઠળ તેમની અધ્યક્ષતામા બનેલી સમિતિમા પોલિસ વિભાગ, કલેકટર કચેરીના વિવિધ વિભાગો, જિલ્લા રમત ગમત વિભાગ, યોગ બોર્ડ તથા યુવા બોર્ડ વિગેરે દ્વારા બહોળા પ્રમાણમા શહેરીજનો રજિસ્ટ્રેશન કરે અને સ્પર્ધામા ભાગ લે તે માટે સઘન કામગીરી અને ઝુંબેશને ધરવામા સુરતવાસીઓ જનતાનો બહોળો પ્રતિસાદ મળ્યો છે. સુરત મહાનગરપાલિકા દ્વારા સૂર્ય નમસ્કાર મહાઅભિયાન કુલ ત્રણ તબક્કામા યોજાનાર છે. જેના ભાગરૂપે સૂર્ય નમસ્કાર કાર્યક્રમ અંતર્ગત કતારગામ વોર્ડ નં-૬ ના વસ્તાદેવડી રોડ કોમ્યુનિટી હોલ ખાતે મેયરશ્રી દક્ષેશભાઈ માવાણીની પ્રેરક ઉપસ્થિતિમાં સૂર્ય નમસ્કાર સ્પર્ધા યોજાઈ હતી. શક્તિ, ઊર્જા, આનંદ અને પ્રફુલ્લિતતાની અનૂભુતિ માટે વિવિધ શાળાના અનેક વિદ્યાર્થીઓ સહિત યોગપ્રેમીઓએ ઉત્સાહભેર યોગાભ્યાસમાં જોડાઈને સૂર્યનમસ્કાર કર્યા હતા.
મેયર દક્ષેશભાઈ માવાણીએ સૂર્ય નમસ્કાર યોગનો રાજા છે અને યોગ એ ભારતીય સંસ્કૃતિની પ્રાચીન વિદ્યા છે એમ જણાવી વિદ્યાર્થીઓને દરરોજ દિનચર્યામાં યોગ અભ્યાસ કરવા અનુરોધ કરતા જણાવ્યું હતું કે, યોગ અને આયુર્વેદનો જન્મ ભારતમાં થયો હતો અને અહીંથી તેનો પ્રકાશ સમગ્ર વિશ્વમાં પ્રસર્યો છે. સૂર્ય નમસ્કાર માત્ર શારીરિક સ્વાસ્થ્ય માટે જ નહી, પરંતુ માનસિક શાંતિ તેમજ તંદુરસ્તી પ્રદાન કરે છે. વડાપ્રધાનશ્રી નરેંદ્રભાઇ મોદીના વિઝન ૨૦૪૭ સુધીમાં વિકસિત ભારતની પરિકલ્પનાને સાકારિત કરવા જનસમૂહનું સ્વસ્થ હોવું અનિવાર્ય છે. શ્રી માવાણીએ યોગાભ્યાસ દરમિયાન વિદ્યાર્થીઓ સાથે વાર્તાલાપ કરી નિયમિત સૂર્ય નમસ્કાર કરવા પ્રેરિત કર્યા હતા
સૂર્ય નમસ્કાર થકી પ્રણામાસન, હસ્ત ઉત્તાનાસન, ઉત્તાનાસન, અશ્વ સંચાલનાસન, ચતુરંગ દંડાસન, અષ્ટાંગ નમસ્કાર, ભુજંગાસન, અધોમુક્ત શ્વાનાસન, અશ્વ સંચાલનાસન, ઉત્તાનાસન, હસ્ત ઉત્તાનાસન અને પ્રણામાસન એ સૂર્ય નમસ્કાર માટેની બાર સ્થિતિઓ વ્યક્તિના શરીરનાં સંપૂર્ણ અંગોની વિકૃતિઓને દૂર કરીને નિરોગી બનાવવામાં ઉપયોગી છે, તેમજ આ સમગ્ર પ્રક્રિયા સ્વાસ્થ્ય માટે અત્યાધિક લાભકારી છે.
પ્રથમ તબક્કામા ગુજરાત રાજ્ય યોગ બોર્ડ અને સુરત મહાનગરપાલિકાના સંયુક્ત ઉપક્રમે સુરત મહાનગરપાલિકાના 30 ઇલેક્શન વોર્ડમાં સૂર્ય નમસ્કાર સ્પર્ધા તા.19/12/2023 ના રોજ યોજાઈ હતી. જેમા સવારે 8:00 કલાકે દરેક ઇલેક્શન વોર્ડમા સ્થાનિક કોર્પોરેટરશ્રી તથા યોગના જણકાર મહાનુભાવોની ઉપસ્થિતિમાં કાર્યક્રમનો શુભારંભ કરવામા આવ્યો હતો.
સૂર્ય નમસ્કાર સ્પર્ધાના પ્રથમ તબક્કાના ઇલેક્શન વોર્ડ કક્ષાના વિજેતાઓ હવે પછી દ્વિતિય તબક્કાની ઝોન કક્ષાની તા.23/12/2023ના રોજની સ્પર્ધામાં ભાગ લેશે તથા તા.26/12/2023ના રોજની સુરત મહાનગરપાલિકા કક્ષાની સ્પર્ધામા ભાગ લેશે.
સ્પર્ધાના વિજેતાઓને મળવાજોગ ઇનામની રકમ સરકાર દ્વારા સીધા તેમના બેંકના ખાતામા જમા કરાવવામાં આવનાર છે, તથા સ્પર્ધકોને સર્ટિફિકેટ પણ ઓનલાઇન જ મળી રહે તેવી વ્યવસ્થા કરવામા આવી છે.
આ પ્રસંગે વિવિધ વોર્ડમાં વિવિધ સમિતિના અધ્યક્ષશ્રીઓ, મ્યુ. સદસ્યશ્રીઓ, ડેપ્યુટી કમિશ્નરશ્રી મીનાબેન ગજ્જર, કાર્યપાલક ઈજનેર કામિનીબેન દોશી અને ગુજરાત યોગ બોર્ડના સ્વાતિબેન, સ્પોર્ટસ વિભાગ, સહિતના સુરત મહાનગરપાલિકાના અધિકારી-કર્મચારીઓ, શિક્ષકો, વિદ્યાર્થીઓ સહિત યોગપ્રેમીઓ જોડાયા હતા.
હિન્દુસ્થાન સમાચાર/ યજુવેન્દ્ર દુબે
