નવી દિલ્હી, 11 જાન્યુઆરી (હિ. સ.) અયોધ્યામાં રામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા સમારોહમાં હાજરી આપવાનું આમંત્રણ નકારવા બદલ, ભારતીય જનતા પાર્ટીએ કોંગ્રેસની આકરી ટીકા કરી છે.
બીજેપી સાંસદ સુધાંશુ ત્રિવેદીએ ગુરુવારે અહીં એક પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું હતું કે, કોંગ્રેસે નવા સંસદ ભવનના ઉદ્ઘાટન સમારોહનો બહિષ્કાર કર્યો હતો. જીએસટી લાગુ કરવાના ઐતિહાસિક નિર્ણયનો કોંગ્રેસે બહિષ્કાર કર્યો હતો. જી-20 સમિટનો બહિષ્કાર કર્યો. કોંગ્રેસે કારગિલ વિજય દિવસનો પણ બહિષ્કાર કર્યો હતો. તેમણે કહ્યું કે અટલ બિહારી વાજપેયી સરકારના નેતૃત્વમાં મે 1998માં પોખરણ પરમાણુ પરિક્ષણ કર્યા બાદ કોંગ્રેસે 10 દિવસ સુધી કોઈ નિવેદન આપ્યું ન હતું. કોંગ્રેસે પણ પોતાની પાર્ટીના પૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જીના ભારત રત્ન સમારોહનો બહિષ્કાર કર્યો હતો.
તેમણે કહ્યું કે, કોંગ્રેસની આ બહિષ્કારની માનસિકતાને કારણે, જનતા પણ તેમનો સત્તા પરથી બહિષ્કાર કરી રહી છે. અહીં એક વાત સ્પષ્ટ છે કે, કોંગ્રેસ તેના વલણ પ્રમાણે કામ કરી રહી છે.
સુધાંશુ ત્રિવેદીએ કહ્યું કે, 500 વર્ષના સંઘર્ષ બાદ રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા થવા જઈ રહી છે, પરંતુ કોંગ્રેસ પોતાની વૃત્તિ મુજબ કામ કરી રહી છે. જવાહરલાલ નેહરુએ પણ સોમનાથ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા નો બહિષ્કાર કર્યો હતો. નેહરુએ 24 એપ્રિલ, 1951ના રોજ લખેલા પત્રમાં પ્રાણ પ્રતિષ્ઠાનો બહિષ્કાર કર્યો હતો. પછી ઈન્દિરાના સમયમાં જ્યારે 1976માં અયોધ્યામાં રામ મંદિરના પુરાવાઓ સામે આવી રહ્યા હતા, ત્યારે ત્યાંનું કામ બંધ કરાવી દીધું હતું. સોનિયા ગાંધીના સમયમાં રામને કાલ્પનિક ગણાવ્યા હતા, પરંતુ રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા કોંગ્રેસ માટે પોતાને બદલવાની તક હતી. તેમણે કહ્યું કે, આ નેહરુની કોંગ્રેસ છે, મહાત્મા ગાંધીની કોંગ્રેસ નથી. રામરાજની પ્રાણ પ્રતિષ્ઠા માટેના આમંત્રણનો અસ્વીકાર કરવો, એ કોંગ્રેસની અંદરના હિંદુ ધર્મનો વિરોધ દર્શાવે છે.
તેમણે કહ્યું કે, રામ મંદિરના મુખ્ય પક્ષકાર અન્સારીએ પણ આમંત્રણ સ્વીકારી લીધું છે. કોંગ્રેસ પરંપરાના તમામ પક્ષો આજે હોબાળો મચાવી રહ્યા છે. કોંગ્રેસના કુળના તમામ પક્ષોએ સ્પષ્ટ કર્યું છે કે, તેઓ રાજકીય દૃષ્ટિકોણથી નિર્જીવ બની રહ્યા છે. તેઓ વડાપ્રધાન મોદીના વિરોધમાં ભગવાનનો વિરોધ કરવા સુધી ગયા હતા. દરેક ઐતિહાસિક પ્રસંગનો વિરોધ કરતા, આજે તેમની કટ્ટરવાદની રાજનીતિ ભારતીયતાના મૂલ્યો કરતાં વધુ મહત્વની લાગે છે.
હિન્દુસ્થાન સમાચાર/વિજયલક્ષ્મી/દધીબલ / ડો. હિતેશ/માધવી
