જયપુર, નવી દિલ્હી, 4 જાન્યુઆરી (હિ.સ.) 58મી ડાયરેક્ટર જનરલ-ઇન્સ્પેક્ટર જનરલ ઓફ પોલીસ કોન્ફરન્સ 05 થી 07 જાન્યુઆરી દરમિયાન, રાજસ્થાન ઇન્ટરનેશનલ સેન્ટર, જયપુર ખાતે યોજાશે. આ કોન્ફરન્સમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી, કેન્દ્રીય ગૃહ-પ્રધાન અમિત શાહ અને રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોભાલ ઉપરાંત, દેશભરના ડીજીપી-આઈજી ભાગ લેશે. ત્રણ દિવસીય કોન્ફરન્સમાં જમ્મુ અને કાશ્મીરમાં આતંકવાદી ખતરો, સાયબર છેતરપિંડી અને ખાલિસ્તાની તરફી જૂથોની પ્રવૃત્તિઓ સહિત અન્ય મુખ્ય મુદ્દાઓ પર ચર્ચા થવાની સંભાવના છે.
વડાપ્રધાન મોદી, ગૃહમંત્રી શાહ અને રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર ડોભાલ આ કોન્ફરન્સમાં ભાગ લેવા શુક્રવારે જયપુર પહોંચશે. ગુરુવારથી ડીજીપી-આઈજી આવવાનું શરૂ થશે. વડાપ્રધાન મોદી 07ના રોજ દિલ્હી પરત ફરશે. કોન્ફરન્સમાં તમામ રાજ્યો અપરાધ નિયંત્રણના પ્રયાસો પર, પ્રેઝન્ટેશન આપશે. મોડેલ સ્ટેટ પસંદ કરીને સામાન્ય માર્ગદર્શિકા જારી કરવામાં આવશે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદી શુક્રવારે 05 જાન્યુઆરીએ જયપુર આવશે. વડાપ્રધાન મોદી, બપોરે જયપુર પહોંચવાના છે. આ દરમિયાન તેઓ એરપોર્ટથી સીધા ભારતીય જનતા પાર્ટીના કાર્યાલય પહોંચશે. જ્યાં તેઓ મંત્રીઓ, ભાજપના ધારાસભ્યો અને રાજ્યના અધિકારીઓની બેઠક લઈ શકે છે. આ પછી વડાપ્રધાન મોદી રાજભવનમાં રાત્રિ આરામ કરશે. મોદી બીજા દિવસે 6 જાન્યુઆરીએ ડીજીપી-આઈજી કોન્ફરન્સમાં ભાગ લેશે. પ્રદેશ ભાજપ કાર્યાલયમાં બેઠકની તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે. ભાજપ કાર્યાલયમાં વડાપ્રધાન મોદીની સંભવિત બેઠકને ધ્યાનમાં રાખીને, કાર્યાલયની સુરક્ષા વ્યવસ્થા મજબૂત કરવામાં આવી છે.
વડાપ્રધાનની મુલાકાતને ધ્યાનમાં રાખીને રાજ્યપાલ કલરાજ મિશ્રાએ બુધવારે, રાજભવન સંકુલની અનૌપચારિક સમીક્ષા કરી હતી. તેમણે વડાપ્રધાનની મુલાકાતને લગતી સુરક્ષા અને જરૂરી તૈયારીઓની માહિતી લીધી અને અધિકારીઓને જરૂરી સૂચનાઓ આપી. આ દરમિયાન તેમણે વિવિધ વ્યવસ્થાઓની સમીક્ષા કરી હતી. વડાપ્રધાન મોદીના આગમન અને રોકાણને લગતી તમામ કામગીરી સમયસર પૂર્ણ કરવા સૂચના આપવામાં આવી હતી.
મુખ્યમંત્રી ભજનલાલની દેખરેખ હેઠળ પોલીસ અધિકારીઓ સાથેની બેઠકની, તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે. ગૃહમંત્રી અમિત શાહ, ત્રણેય દિવસ ડીજીપી-આઈજી કોન્ફરન્સમાં ભાગ લેશે. તેઓ 05 થી 07 જાન્યુઆરી સુધી જયપુરમાં રહેશે અને આ કોન્ફરન્સમાં ભાગ લેશે. વડાપ્રધાન અને ગૃહમંત્રીની સુરક્ષાને ધ્યાનમાં રાખીને, એસપીજીના અધિકારીઓએ જયપુરમાં સુરક્ષા વ્યવસ્થાની ચકાસણી કરી લીધી છે. આ કોન્ફરન્સમાં અમિત શાહ મુખ્ય અતિથિ હશે. જ્યારે રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોભાલ આ કાર્યક્રમની અધ્યક્ષતા કરે તેવી શક્યતા છે. કોન્ફરન્સમાં પ્રથમ દિવસે બે સેશન, બીજા દિવસે ચાર અને ત્રીજા દિવસે બે સેશન હશે.
આ કોન્ફરન્સમાં દેશના 28 રાજ્યોના ડીજીપી-આઈજી અને 8 કેન્દ્રશાસિત પ્રદેશોના આઈજી ભાગ લેશે. વિધાનસભાની નજીકના ધારાસભ્ય ક્વાર્ટર્સમાં 150 થી વધુ સરકારી અધિકારીઓ માટે વ્યવસ્થા કરવામાં આવી છે. આ અધિકારીઓની સુરક્ષાની જવાબદારી જયપુર પોલીસની છે.
હિન્દુસ્થાન સમાચાર / સંદીપ / ઈશ્વર / સંજીવ / માધવી
