લખનૌ, નવી દિલ્હી, 15 જાન્યુઆરી (હિ.સ.) બહુજન સમાજ પાર્ટી (બીએસપી)ના રાષ્ટ્રીય અધ્યક્ષ અને ઉત્તર પ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી માયાવતીએ, સોમવારે પોતાના જન્મદિવસના અવસર પર એક પ્રેસ કોન્ફરન્સને સંબોધિત કરતા કહ્યું કે, રાજકારણમાંથી બ્રેક લેવાના સમાચારમાં કોઈ સત્ય નથી. તેમણે ગઠબંધનની ચર્ચાઓને પણ નકારી કાઢી હતી અને કહ્યું હતું કે, તેમની પાર્ટી 2024ની લોકસભા ચૂંટણી તમામ વર્ગો અને જાતિઓના બળ પર એકલા હાથે લડશે. અયોધ્યામાં પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમમાં પણ કહ્યું કે, તેમની પાર્ટી 22 જાન્યુઆરીના કાર્યનું સ્વાગત કરે છે.
પૂર્વ મુખ્યમંત્રી માયાવતીએ કહ્યું કે દેશભરમાં પાર્ટીના કાર્યકર્તાઓ અને અધિકારીઓ મારા જન્મદિવસને જનકલ્યાણકારી દિવસ તરીકે ઉજવી રહ્યા છે. હું તેમનો હૃદયપૂર્વક આભાર માનું છું. લોકસભા ચૂંટણી પર તેમણે કહ્યું કે, તેઓ કોઈપણ ગઠબંધનમાં જોડાશે નહીં. તેમજ તેઓ કોઈ સરકારમાં જોડાવા જઈ રહ્યા નથી. ચૂંટણી બાદ તેઓ સરકારને બહારથી સમર્થન આપી શકે છે. બસપા સુપ્રીમોએ કહ્યું કે, તેઓ 22 જાન્યુઆરીએ અયોધ્યામાં બનેલા રામ મંદિરના અભિષેક કાર્યક્રમનું સ્વાગત કરે છે. જ્યારે પણ મસ્જિદનું નિર્માણ થશે ત્યારે તેનું સ્વાગત પણ કરવામાં આવશે. તેમણે કહ્યું કે, તેમને પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમમાં હાજરી આપવાનું આમંત્રણ મળ્યું છે. આ સમયે પાર્ટીના કામમાં વ્યસ્તતાને કારણે હજુ સુધી જવાનો નિર્ણય લેવાયો નથી.
તેમણે કહ્યું કે, તેમની સરકારમાં સર્વજન હિતાય અને સર્વજન સુખાય અંતર્ગત અહીં સૌ માટે લોક કલ્યાણકારી યોજનાઓ શરૂ કરવામાં આવી હતી. આને ધ્યાનમાં રાખીને, અન્ય પક્ષોની સરકારો તેમાં નામ અને ફોર્મેટમાં થોડો ફેરફાર કરીને ફાયદો લેવાનો પ્રયાસ કરી રહી છે. તે પક્ષોની જ્ઞાતિવાદી, મૂડીવાદી, સંકુચિત અને સાંપ્રદાયિક વિચારસરણીના કારણે લોકોને યોગ્ય લાભ મળી રહ્યો નથી.
ગરીબી, બેરોજગારી, મોંઘવારીમાં, આજીવિકા અને રોજગારના સાધનો ની ગેરંટી આપવાને બદલે, કેન્દ્ર અને રાજ્ય સરકારો તેમને મફતમાં થોડું રાશન આપીને લાચાર અને ગુલામ બનાવી રહી છે. બસપાની સરકારમાં અમે લોકોને આજીવિકા અને રોજગારી આપી. હાલમાં તે ક્યાંય દેખાતું નથી.
તેમણે વધુમાં કહ્યું કે, છેલ્લા કેટલાક વર્ષોમાં કેન્દ્ર અને રાજ્ય સરકારો પોતાની ખામીઓ ઢાંકવા માટે ધર્મ અને સંસ્કૃતિની આડમાં રાજનીતિ કરી રહી છે. તેનાથી આપણા દેશનું બંધારણ અને લોકતંત્ર નબળું પડશે. બસપા પ્રમુખ પત્રકારોના માધ્યમથી દરેકને પોતાની આજીવિકા, સન્માન, સ્વાભિમાન અને આવનારી પેઢીઓને સારી આવતીકાલ આપવા માટે બાબા સાહેબે બતાવેલા માર્ગો પર ચાલવાની અપીલ કરે છે. આ અંગે તેમણે એક પુસ્તકનું વિમોચન પણ કર્યું હતું.
હિન્દુસ્થાન સમાચાર/દીપક/દિલીપ / ડો. હિતેશ
