નવી દિલ્હી, 09 સપ્ટેમ્બર (હિ.સ.) પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે પૂરની
સ્થિતિની સમીક્ષા કરવા માટે પંજાબની મુલાકાત લેશે. તેઓ પૂર આપત્તિ પીડિતોને મહત્તમ
સહાય મળે તે માટે જમીની પરિસ્થિતિનું વ્યક્તિગત રીતે મૂલ્યાંકન કરશે. આ માહિતી
પંજાબ ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ સુનીલ જાખડે સોશિયલ મીડિયા પોસ્ટ પર આપી હતી.
તેમણે કહ્યું કે,” પ્રધાનમંત્રી મોદી આ કટોકટી અંગે ખૂબ જ
ચિંતિત છે અને તેનું નજીકથી નિરીક્ષણ કરી રહ્યા છે.” જાખડે કહ્યું કે,” કેન્દ્ર
સરકાર પંજાબના લોકોની સાથે મજબૂત રીતે ઉભી છે. અગાઉ, કૃષિ મંત્રી શિવરાજ સિંહ ચૌહાણ પરિસ્થિતિનું
મૂલ્યાંકન કરવા માટે રાજ્યની મુલાકાત લઈ ચૂક્યા છે. નુકસાનનું મૂલ્યાંકન કરવા માટે
બે કેન્દ્રીય આંતર-મંત્રી ટીમો બનાવવામાં આવી છે.”
પંજાબમાં પરિસ્થિતિ હવે ધીમે ધીમે સામાન્ય થઈ રહી છે. સેના, સરહદ સુરક્ષા દળ, રાષ્ટ્રીય આપત્તિ
પ્રતિભાવ દળ અને સ્થાનિક લોકો રાહત અને બચાવ કાર્યમાં રોકાયેલા છે. રાજ્યના લગભગ
બે હજાર ગામડાઓના ત્રણ લાખ 87 હજારથી વધુ લોકો પૂરથી પ્રભાવિત થયા છે. કેન્દ્રીય યુવા
બાબતો અને રમતગમત મંત્રાલયના હજારો માય ભારત આપદા મિત્ર રાહત કાર્યમાં લોકોને મદદ
કરી રહ્યા છે. રાજ્ય સરકારે ચોક્કસ જિલ્લાની પરિસ્થિતિ અનુસાર આજથી રાજ્યની તમામ
શાળાઓ અને કોલેજો ફરીથી ખોલવાનો નિર્દેશ આપ્યો છે.
પંજાબ માહિતી અને જનસંપર્ક વિભાગે જણાવ્યું છે કે,”
રાજ્યમાં પૂરને કારણે મૃત્યુઆંક 51 પર પહોંચી ગયો છે.”
વડાપ્રધાન મોદી આજે હિમાચલ પ્રદેશની પણ મુલાકાત લે તેવી
શક્યતા છે. તેઓ બંને રાજ્યોના પૂરગ્રસ્ત વિસ્તારોનું હવાઈ સર્વેક્ષણ કરશે અને ચાલી
રહેલા રાહત અને પુનર્વસન પ્રયાસોની સમીક્ષા કરશે.
અધિકારીઓના જણાવ્યા અનુસાર,”વડાપ્રધાન આજે
ઉપરાષ્ટ્રપતિ ચૂંટણી માટે મતદાન કર્યા પછી બપોરે દિલ્હીથી રવાના થશે અને પઠાણકોટ
એરબેઝ પહોંચશે.”
હિન્દુસ્થાન સમાચાર / મુકુન્દ
હિન્દુસ્થાન સમાચાર / ડો.હિતેશ એન.વ્યાસ
