નવી દિલ્હી, 21 ઓગસ્ટ (હિ.સ.) દક્ષિણ સિનેમાના મેગાસ્ટાર ચિરંજીવીએ, પોતાની આગામી ફિલ્મ ‘વિશ્વંભરા’ માટે લાંબા સમયથી ચર્ચામાં છે. વિશાળ બજેટ અને ભવ્ય સેટ પર બનેલી આ ફિલ્મનું દિગ્દર્શન વશિષ્ઠ મલ્લિદી કરી રહ્યા છે. આ ફિલ્મ ચિરંજીવીની કારકિર્દીની સૌથી મહત્વાકાંક્ષી ફિલ્મોમાંની એક માનવામાં આવે છે, જેના માટે દર્શકોમાં ભારે ઉત્સાહ છે. તાજેતરમાં, ચિરંજીવીએ પોતાના ઓફિશિયલ એક્સ હેન્ડલ પર એક વીડિયો શેર કર્યો અને ચાહકોને એક મોટી અપડેટ આપી. આ વીડિયોમાં તેમણે સ્પષ્ટપણે જણાવ્યું કે, ફિલ્મના શૂટિંગમાં વિલંબ પાછળ કેટલાક ટેકનિકલ અને પ્રોડક્શન સંબંધિત કારણો હતા. જોકે તેમણે એમ પણ કહ્યું કે, ટીમે ખૂબ મહેનત કરી છે અને હવે રાહ જોવાની છે.
ચિરંજીવીએ જાહેરાત કરી કે, ‘વિશ્વંભરા’ની તેમની પહેલી ઝલક 21 ઓગસ્ટના રોજ સાંજે 6:06 વાગ્યે રિલીઝ થશે. ખાસ વાત એ છે કે, તેમનો જન્મદિવસ બીજા દિવસે એટલે કે 22 ઓગસ્ટે છે, તેથી ચાહકો આ અપડેટને તેમના માટે એક ખાસ ભેટ તરીકે જોઈ રહ્યા છે. તેમણે એ પણ ખુલાસો કર્યો કે આ ફિલ્મ 2026 ના ઉનાળામાં વિશ્વભરના સિનેમાઘરોમાં રિલીઝ થશે. આ જાહેરાત થતાં જ ‘વિશ્વંભરા’ સોશિયલ મીડિયા પર ટ્રેન્ડ થવા લાગી અને ચાહકો તેનો ફર્સ્ટ લુક જોવા માટે આતુરતાથી રાહ જોઈ રહ્યા છે.
આ ફિલ્મ વાર્તા અને કાસ્ટિંગની દ્રષ્ટિએ પણ ખાસ છે. ત્રિશા કૃષ્ણન, ‘વિશ્વંભરા’માં ચિરંજીવીની સામે જોવા મળશે. આ જોડી પહેલીવાર મોટા પડદા પર સાથે જોવા મળશે, જેના માટે દર્શકો ખૂબ જ ઉત્સાહિત છે. તે જ સમયે અભિનેતા કુણાલ કપૂર, ફિલ્મમાં એક શક્તિશાળી ખલનાયકની ભૂમિકા ભજવી રહ્યા છે, જે ફિલ્મનું એક મહત્વપૂર્ણ આકર્ષણ હશે. પ્રોડક્શન હાઉસ અનુસાર, ફિલ્મમાં ભવ્ય વિઝ્યુઅલ ઇફેક્ટ્સ, શક્તિશાળી એક્શન સિક્વન્સ અને શાનદાર સંગીત હશે. ઉદ્યોગના નિષ્ણાતો માને છે કે, ‘વિશ્વંભરા’ ચિરંજીવીની ફિલ્મગ્રાફીમાં એક સીમાચિહ્નરૂપ સાબિત થઈ શકે છે.
હિન્દુસ્થાન સમાચાર / લોકેશ ચંદ્ર દુબે / રામાનુજ શર્મા
હિન્દુસ્થાન સમાચાર / ડો.હિતેશ એન.વ્યાસ
