ચેન્નાઈ, નવી દિલ્હી, 04 ડિસેમ્બર (હિ.સ.) ચક્રવાત મિચોંગના કારણે, ચેન્નઈમાં ભારે વરસાદ થઈ રહ્યો છે. જેના કારણે ચેન્નઈ એરપોર્ટનો રનવે, પાણીથી ભરાઈ ગયો છે. જેના કારણે એરપોર્ટ પર ફ્લાઈટની કામગીરીને અસર થઈ છે. એરપોર્ટ પરથી રાતના 11 વાગ્યા સુધીની ફ્લાઈટ્સ રદ કરવામાં આવી છે. જ્યારે કેટલીક ફ્લાઈટ્સ ડાયવર્ટ કરવામાં આવી છે.
સત્તાવાર સૂત્રોએ સોમવારે જણાવ્યું કે,” ચક્રવાતી તોફાન ‘મિચોંગ’ના કારણે ભારે વરસાદ થઈ રહ્યો છે. ચેન્નઈ એરપોર્ટના રનવે પર, પાણી ભરાઈ ગયા છે. આને ધ્યાનમાં રાખીને ચેન્નઈ એરપોર્ટે સવારે 9.17 થી રાતના 11 વાગ્યા સુધી તેની એરસ્પેસ બંધ કરી દીધી છે. ચેન્નઈ એરપોર્ટથી લગભગ 11 ફ્લાઈટને કેમ્પેગૌડા ઈન્ટરનેશનલ એરપોર્ટ (કેઅઈએ) તરફ વાળવામાં આવી છે.”
બીજી તરફ, બેંગલુરુ ઈન્ટરનેશનલ એરપોર્ટના અધિકારીઓએ પુષ્ટિ કરી છે કે,” ચેન્નઈમાં ઉતરતી ડોમેસ્ટિક અને ઈન્ટરનેશનલ ફ્લાઈટ્સને, કેઆઇએ તરફ વાળવામાં આવી છે.” એરપોર્ટ અધિકારીઓના જણાવ્યા અનુસાર,” ઈન્ડિગો, સ્પાઈસ જેટ, એતિહાદ, ગલ્ફ એર, ફ્લાય દુબઈ, એર ઈન્ડિયા, લુફ્થાંસા અને બ્રિટિશ એરવેઝની ફ્લાઈટ્સને ચેન્નઈથી બેંગલુરુ ડાયવર્ટ કરવામાં આવી છે. તેમાંથી 10 ડાયવર્ટ કરાયેલી ફ્લાઈટ્સ, કેઆઈએ ખાતે લેન્ડ થઈ ચૂકી છે. જ્યારે વધુ એક આ માર્ગ પર આવનાર છે.”
નોંધનીય છે કે, 2015 દરમિયાન તમિલનાડુની રાજધાની ચેન્નઈમાં પૂરના કારણે એરપોર્ટને ઓછામાં ઓછા ચાર દિવસ માટે બંધ રાખવું પડ્યું હતું. કેમ્પેગૌડા ઇન્ટરનેશનલ એરપોર્ટ (કેઆઇએ) બેંગલુરુ શહેરની બહાર 40 કિલોમીટર દૂર દેવનાહલ્લી ખાતે આવેલું છે. તે 4 હજાર એકર વિસ્તારમાં ફેલાયેલું છે.
હિન્દુસ્થાન સમાચાર / પ્રજેશ શંકર / દધીબલ / માધવી
