








પાટણ, 04 જાન્યુઆરી (હિ.સ.)બનાસકાંઠા, વાવ, થરાદ અને પાટણ જિલ્લાના ઠાકોર સમાજ દ્વારા દિયોદર તાલુકાના ઓગડધામ (ઓગડજીની થાળી) ખાતે 4 જાન્યુઆરીએ વિશાળ બંધારણ મહાસંમેલન યોજાયું.
આ સંમેલનનો મુખ્ય ઉદ્દેશ ઉત્તર ગુજરાતના ઠાકોર સમાજ માટે આધુનિક, એકરૂપ અને સર્વગ્રાહી સામાજિક બંધારણ ઘડી તેનો કડક અમલ કરવાનો હતો.
સમાજ સુધારણા અને કુરિવાજો નાબૂદી સહિત 16 મુદ્દાઓ પર ચર્ચા બાદ સાંસદ ગેનીબેન ઠાકોરે બંધારણનું વાંચન કર્યું અને તે આજથી અમલમાં મુકાયું.
ગેનીબેન ઠાકોરે સદારામબાપુના નામે ઉત્તર ગુજરાતમાં સમાજને એકત્ર કરવા “સદારામ ધામ” બનાવવા માટે સમાજ સમક્ષ અપીલ કરી. સદારામ ધામ માટે ગેનીબેન ઠાકોરે, એક વીઘા જમીન આપવાની જાહેરાત કરી, જ્યારે બળદેજી, ચંદનજી અને અમરતજીએ પણ એક-એક વીઘા જમીન આપવાની જાહેરાત કરી.
અલ્પેશ ઠાકોરે જણાવ્યું કે, સમાજની એકતા તોડવી અશક્ય છે અને બંધારણનું સંપૂર્ણ પાલન કરવું આપણી જવાબદારી છે.
તેમણે કહ્યું કે, જો આપણે સમાજને સાચી દિશા નહીં આપીએ તો આવનારી પેઢી આપણને માફ નહીં કરે.
બંધારણ મુજબ તમામ સામાજિક પ્રસંગોમાં દારૂ, અફીણ, બીડી સહિત તમામ નશાકારક વસ્તુઓ પર સંપૂર્ણ પ્રતિબંધ મુકાયો છે.
લગ્નમાં જાનની સંખ્યા વધુમાં વધુ 100 વ્યક્તિ અને 11 વાહન સુધી મર્યાદિત રાખવામાં આવી છે, જેમાં 10 વર્ષથી ઉપરના બાળકો પણ ગણાશે.
લગ્ન માટે વર્ષમાં માત્ર બે માસ—મહા અને વૈશાખ સુદ 1થી 15—નક્કી કરવામાં આવ્યા છે અને લગ્ન કાર્ડના બદલે ડિજિટલ આમંત્રણને પ્રોત્સાહન અપાયું છે.
મરણ પ્રસંગે માત્ર ખીચડી-કઢી જ રાખવાની રહેશે અને ભોજન, બોલામણા તથા બેસણાની કુરિવાજી પ્રથાઓ બંધ કરાઈ છે.
જન્મદિવસની ઉજવણી બંધ કરી, તે ખર્ચ સમાજની લાઇબ્રેરી કે શૈક્ષણિક સંસ્થામાં દાન આપવાનું નક્કી કરાયું છે.
મામેરા, આંણું, પૂર્ગત અને ગિફ્ટ જેવી પ્રથાઓમાં ખર્ચાળ અને દાગીનાની રીતો બંધ કરી રોકડ મર્યાદા નક્કી કરાઈ છે.
સગાઈ પ્રસંગે માત્ર 21 વ્યક્તિ હાજર રહી શકશે અને ભેટમાં નાળિયેર, એક રૂપિયો અને એક જોડી કપડાં જ આપવાના રહેશે.
સમગ્ર સમાજમાં તાલુકા અને ગામ કક્ષાએ સંકલન સમિતિ બનાવી આ બંધારણનું કડક અમલ કરવાની પ્રતિજ્ઞા સાથે મહાસંમેલન પૂર્ણ થયું.
હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ
