રાયપુર, નવી દિલ્હી, 28 નવેમ્બર (હિ.સ.). કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ, છત્તીસગઢના રાયપુરમાં ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેનેજમેન્ટ (આઈઆઈએમ) ખાતે યોજાનારી, 60મી અખિલ ભારતીય પોલીસ મહાનિર્દેશક (ડીજીપી) અને પોલીસ મહાનિરીક્ષક (આઈજીપી) પરિષદમાં હાજરી આપવા માટે ગુરુવારે મોડી રાત્રે રાયપુર પહોંચ્યા હતા. મુખ્યમંત્રી વિષ્ણુદેવ સાય દ્વારા તેમનું એરપોર્ટ પર સ્વાગત કરવામાં આવ્યું હતું. આ સંમેલન 28 થી 30 નવેમ્બર સુધી ચાલશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજિત ડોભાલ પણ હાજર રહેશે. આ કાર્યક્રમમાં દેશભરમાંથી આશરે 600 અધિકારીઓ અને વીઆઈપી હાજરી આપશે. અમિત શાહ આ સંમેલનનું ઉદ્ઘાટન કરશે.
મુખ્યમંત્રી કાર્યાલયના જણાવ્યા અનુસાર, પ્રોટોકોલમાં ફેરફારને કારણે શાહ, શુક્રવાર સવારને બદલે ગુરુવારે રાત્રે ખાસ ફ્લાઇટમાં રાયપુર પહોંચ્યા હતા. પ્રધાનમંત્રી મોદી, આજે રાત્રે રાયપુર પહોંચશે. પ્રધાનમંત્રીને નવા સ્પીકર્સ હાઉસ એમ-1 માં અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહને નાણામંત્રીના નિવાસસ્થાન એમ-11 માં રાખવામાં આવશે. રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજિત ડોભાલ પણ આજે રાયપુર પહોંચશે.
ઉલ્લેખનીય છે કે, વિકસિત ભારત: સુરક્ષા પરિમાણો થીમ પર આયોજિત આ પરિષદમાં ડાબેરી ઉગ્રવાદ, આતંકવાદ વિરોધી, આપત્તિ વ્યવસ્થાપન, મહિલા સુરક્ષા અને પોલીસિંગમાં ફોરેન્સિક વિજ્ઞાન અને એઆઈ નો ઉપયોગ જેવા મુખ્ય સુરક્ષા મુદ્દાઓ પર વિગતવાર ચર્ચા કરવામાં આવશે.
પ્રધાનમંત્રી વિશિષ્ટ સેવા માટે રાષ્ટ્રપતિ પોલીસ મેડલ પણ રજૂ કરશે. આ પરિષદ દેશભરના વરિષ્ઠ પોલીસ અધિકારીઓ અને સુરક્ષા વહીવટકર્તાઓને રાષ્ટ્રીય સુરક્ષા મુદ્દાઓ પર ખુલ્લી અને અર્થપૂર્ણ ચર્ચામાં જોડાવા માટે એક મહત્વપૂર્ણ ઇન્ટરેક્ટિવ પ્લેટફોર્મ પૂરું પાડે છે. તે પોલીસ દળો સામેના ઓપરેશનલ, માળખાકીય અને કલ્યાણકારી પડકારો, તેમજ ગુનાનો સામનો કરવા, કાયદો અને વ્યવસ્થા જાળવવા અને આંતરિક સુરક્ષા જોખમોને સંબોધવા માટે વ્યાવસાયિક પ્રથાઓના નિર્માણ અને શેરિંગ પર ચર્ચાને સરળ બનાવે છે.
હિન્દુસ્થાન સમાચાર / ગેવેન્દ્ર પ્રસાદ પટેલ / કેશવ કેદારનાથ શર્મા / મુકુંદ
હિન્દુસ્થાન સમાચાર / ડો.હિતેશ એન.વ્યાસ
