અમરેલી/અમદાવાદ,06 PCPNDT ACT-૧૯૯૪ અન્વયે જાતીય પરીક્ષણના ગુન્હાઓ
રોકવાના અમલીકરણ માટે જિલ્લાના સમગ્ર વિસ્તારમાં રજિસ્ટ્રેશન ધરાવતી તમામ હોસ્પિટલ, ક્લિનિક અને સંસ્થાઓએ સી.સી.ટી.વી લગાવવા ફરજિયાત છે. આ ઉપરાંત 30 દિવસના સી.સી.ટી.વી કેમેરાના ઓડીયો-વીડિયો રેકોર્ડિંગ 24×7 કલાક બેકઅપ રાખવું ફરજિયાત છે. અમરેલી અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ દ્વારા ફોજદારી કાર્યરીતિ અધિનિયમ-1973 (1974નો બીજો અધિનિયમ) કલમ-144 અંતર્ગત આ જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. હુકમ અમરેલી જિલ્લાના સમગ્ર વિસ્તારને લાગુ પડશે. આ જાહેરનામું 30 એપ્રિલ સુધી અમલી રહેશે. સીસીટીવી એવી રીતે લગાવવા કે, સમગ્ર વિસ્તાર કવર થતો હોય. સોનોગ્રાફી રુમમાં નક્કી કરેલ અધિકૃત્ત વ્યક્તિ જ પ્રવેશે તે પણ જોવાનું રહેશે.
સોનોગ્રાફી રુમની અંદર કે જ્યાં દર્દીની સોનોગ્રાફી કરવામાં આવતી હોય ત્યાં સી.સી.ટી.વી કેમેરા લગાવી શકાશે નહીં. નક્કી કરવામાં આવેલા સોનોગ્રાફી રુમમાં વ્યક્તિનો ચહેરો દેખાય તે રીતે રુમની બહારના દરવાજાના ભાગમાં સી.સી.ટી.વી લગાવવા. જો સોનોગ્રાફી રુમના દરવાજા અંદર અને બહારના એમ બંને ભાગમાં હોય તો બંને જગ્યાએ સી.સી.ટી.વી લગાવવા ફરજિયાત છે. સંબંધિત જિલ્લા એપ્રોપ્રિએટ ઓથોરિટી દ્વારા જરુર જણાયે જ્યારે પણ સી.સી.ટી.વી રેકોર્ડિંગ બેકઅપ માંગવામાં આવે ત્યારે ફરજિયાત આપવાનું રહેશે. તેમજ સંબંધિત બેકઅપમાં કોઈ ત્રુટિ જણાશે તો તેની જવાબદારી હોસ્પિટલ, ક્લિનિક કે સંસ્થાની રહેશે.
