વડોદરા/અમદાવાદ,21 ડિસેમ્બર (હિ.સ.) વડોદરા જિલ્લા સહિત દેશભરમાં વિકસિત ભારત સંકલ્પ યાત્રાના કાર્યક્રમ થકી અનેક લાભાર્થીઓને વિવિધ સરકારી યોજનાઓનો લાભ મળી રહ્યો છે. આ કાર્યક્રમોમાં ‘મેરી કહાની, મેરી જુબાની’ અંતર્ગત લાભાર્થીઓ તેમને મળેલા યોજનાકીય લાભો અને સુખદ અનુભવની વાત પોતાના શબ્દોમાં વર્ણવે છે.
વડોદરા જિલ્લાના કરજણ તાલુકાના નવી જીથરડી ગામના લીલાબેન સોલંકી ‘મેરી કહાની, મેરી જુબાની’ અંતર્ગત પોતાનો પ્રતિભાવ રજૂ કરતાં જણાવે છે કે, સરકારે કરોડો પરિવારોને હર ઘર, નલ સે જલ હેઠળ આવરી લઈને દૂરદરાજના વિસ્તારોમાં ઘરે ઘરે નળથી પીવાનું ચોખ્ખું પાણી પહોંચાડ્યું છે. તેમણે સંતોષપૂર્વક જણાવ્યું કે, આ યોજના અંતર્ગત હવે તેમના ઘરે પણ દિવસમાં ત્રણ વખત નળથી પીવાનું શુદ્ધ પાણી પહોંચે છે. હેન્ડ પંપ અને દૂર દૂર સુધી પાણી લેવા જવા માટે જે વલખા મારવા પડતા હતા, તે દિવસો હવે ભૂતકાળ બન્યા છે, તેમ જણાવી લીલાબેને આ યોજના થકી તેમના જેવા કરોડો લોકોના જીવનધોરણમાં નોંધપાત્ર સુધારો આવ્યો હોવાનો મક્કમપણે કહ્યું હતું. કેન્દ્ર સરકારની ‘નલ સે જલ’ યોજનાની પ્રશંસા કરી તેમણે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને ગરીબોના બેલી તરીકે સંબોધ્યા હતા.
મહત્વનું છે કે, કરજણ તાલુકાનું નવી જીથરડી ગામે હર ઘર, નલ સે જલ યોજનામાં 100 ટકા સિદ્ધિ મેળવી છે. રાજ્ય સરકારે દુર્ગમ વિસ્તારો સહિત, ડુંગરાળ અને અતિ અંતરિયાળ સ્તારોમાં પણ નલ સે જલ યોજના હેઠળ ઘરે ઘરે પાણી પહોંચાડ્યું છે. જે છેવાડાના લોકો માટે આશીર્વાદરૂપ નીવડ્યું છે.
હિન્દુસ્થાન સમાચાર/
