– કૃષિ નિયામકે ખેડૂતોને આધુનિક ખેત પદ્ધતિઓ સહિત પ્રાકૃતિક ખેતી અંગે માર્ગદર્શન આપ્યું
વડોદરા/અમદાવાદ,25 નવેમ્બર (હિ.સ.) રાજ્ય સરકારના કૃષિ, ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ દ્વારા વડોદરા જિલ્લાના તમામ આઠેય તાલુકાઓમાં બે દિવસીય રવિ કૃષિ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. રવિ કૃષિ મહોત્સવના બીજા દિવસે આઠેય તાલુકાના ખેડૂતોને પ્રાકૃતિક ખેતી મોડેલ ફાર્મની મુલાકાત લઈ કૃષિ પ્રદર્શન નિહાળ્યું હતું. જિલ્લા પંચાયતની ખેતીવાડી શાખા દ્વારા તાલુકા કક્ષાએ ખેડૂત મિટીંગનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં તાલુકાના ખેડૂતોએ મોટી સંખ્યામાં હાજરી આપી હતી.
રવિ કૃષિ મહોત્સવના બીજા દિવસે કૃષિ નિયામક એસ.જે.સોલંકીએ એ.પી.એમ.સી., સયાજીપૂરા ખાતે આયોજિત કૃષિ મહોત્સવમાં ઉપસ્થિત રહી ખેડૂતોને આધુનિક ખેત પદ્ધતિઓ સહિત પ્રાકૃતિક ખેતી અંગે માર્ગદર્શન આપ્યું હતું. સોલંકીએ ખેડૂતોને ખેતી ખર્ચ કેવી રીતે ઘટાડી શકાય, ખાતર અને પાણીનો કાર્યક્ષમ ઉપયોગ કેમ કરવો, કૃષિ મહોત્સવનું મહત્વ તેમજ સરકારની કૃષિલક્ષી યોજનાઓ નો લાભ કેવી રીતે લઇ શકાય તે અંગે વિસ્તૃત માહિતી આપી હતી. કૃષિ સહાય યોજનાને લગતા પ્રશ્નો, કૃષિ પેદાશોનાં ભાવ, ખેતી માટે વીજળીકરણ, સુક્ષ્મ પિયત પદ્ધતિ, ઉભા પાકનાં સંરક્ષણ અંગે જંગલી પ્રાણીઓ નીલગાય, ભુંડ તથા દિપડા વગેરે જેવા ખેડૂતોના પ્રશ્નોના નિરાકરણ માટેની માહિતી આપી હતી.એ.પી.એમ.સી. ખાતે બીજા દિવસે સ્ટોલ મુલાકાત કરી રહેલા ખેડુતો સાથે પણ તેમણે ખેતી વિષયક વાર્તાલાપ કર્યો હતો. કૃષિ સહાયનાં મંજૂરી પત્રોનું વિતરણ કર્યું હતું.
ખેતી નિયામક સાથે વિભાગીય વડા સંયુક્ત ખેતી નિયામક(વિ) એમ.એમ.પટેલ, જિલ્લા ખેતીવાડી અધિકારી નિતિન વસાવા, નાયબ ખેતી નિયામક(વિ) ચિરાગ એન.પટેલ, નાયબ ખેતી નિયામક અને પ્રોજેક્ટ ડાયરેક્ટર આત્મા જિતેંદ્ર ચારેલ, મદદનીશ ખેતી નિયામક, ખેતીવાડી અધિકારી, વિસ્તરણ અધિકારી(ખેતી), ગ્રામસેવકો અને ખેડૂતો હાજર રહ્યા હતા.
હિન્દુસ્થાન સમાચાર/
