નવી દિલ્હી, 25 નવેમ્બર (હિ. સ.). ડૉ. મંગલમ સ્વામીનાથન ફાઉન્ડેશને, વર્ષ 2023 માટે પત્રકારત્વ, વિજ્ઞાન અહેવાલ, કળા અને સંસ્કૃતિ, ચીકીત્સા, ગેરરીતિ તપાસ અને સમાજ સેવામાં શ્રેષ્ઠતા સહિત વિવિધ ક્ષેત્રોમાં છ પ્રતિષ્ઠિત રાષ્ટ્રીય પુરસ્કારોની જાહેરાત કરી છે. આ પુરસ્કારો 29 નવેમ્બરના રોજ સાંજે 5 વાગ્યે શ્રી રામ સેન્ટર, મંડી હાઉસ, દિલ્હીમાં આયોજિત એક વિશેષ સમારોહમાં આપવામાં આવશે.
ફાઉન્ડેશનના ચેરમેન ડો.આર. બાલાશંકરે જણાવ્યું હતું કે, વિજ્ઞાન અહેવાલમાં રાષ્ટ્રીય રાજકીય પ્રવચનમાં તેમના યોગદાન માટે ડો. મંગલમ સ્વામીનાથન રાષ્ટ્રીય પુરસ્કાર 2023 દૂરદર્શન (દિલ્હી)ના વરિષ્ઠ સલાહકાર સંપાદક અને એન્કર અશોક શ્રીવાસ્તવને આપવામાં આવશે. તેમને આ એવોર્ડ શ્રેષ્ઠતા, સંશોધન અને વિજ્ઞાન અને ટેકનોલોજીની શ્રેણીમાં આપવામાં આવનાર છે.
પત્રકારત્વના ક્ષેત્રમાં ઉત્કૃષ્ટ યોગદાન બદલ મનોરમા ટીવીના ડાયરેક્ટર જોની લ્યુકોસ, કલા અને સંસ્કૃતિના ક્ષેત્રમાં ઉત્કૃષ્ટ યોગદાન બદલ દૈનિક માતૃભૂમિ (કોઝિકોડ)ના આર્ટ એડિટર પીવી મદનમોહનન, કલા અને સંગીત ક્ષેત્ર માં દક્ષિણ ભારતના અગ્રણી પ્લેબેક સિંગર એમ.જી. શ્રીકુમાર, તબીબી ગેરરીતિની તપાસ કરવા અને ઉચ્ચ સ્થાનો પર ભ્રષ્ટાચારનો પર્દાફાશ કરવા બદલ વેબ મીડિયા મરુનાદન મલયાલીના સ્થાપક અને એડિટર-ઇન-ચીફ સાજન સાકરિયા ને સન્માનિત કરવામાં આવશે.
આ ઉપરાંત સ્વામી ચૈતન્યાનંદ સ્વામી મદુરાનંદ, વેલ્લીમલાઈ શ્રી વિવેકાનંદ આશ્રમ, કાલાપડી, તમિલનાડુને સમાજ સેવાના ક્ષેત્રમાં તેમના નોંધપાત્ર કાર્ય માટે ‘શ્રી દત્તોપંત થેંગડી સેવા સન્માન-2023’ થી સન્માનિત કરવામાં આવશે. આ કાર્યક્રમની અધ્યક્ષતા પૂર્વ કેન્દ્રીય માનવ સંસાધન વિકાસ મંત્રી ડો.મુરલી મનોહર જોશી કરશે. આ કાર્યક્રમમાં કેન્દ્રીય કાયદા અને ન્યાય મંત્રી અર્જુન રામ મેઘવાલ સહિત અનેક મહાનુભાવો મુખ્ય અતિથિ તરીકે અને કેન્દ્રીય જલ શક્તિ રાજ્ય મંત્રી પ્રહલાદસિંહ પટેલ વિશેષ અતિથિ તરીકે ઉપસ્થિત રહેશે.
વાસ્તવમાં, ડૉ.મંગલમ સ્વામીનાથન ફાઉન્ડેશન દર વર્ષે પત્રકારત્વ અને સમાજ સેવા સહિત વિવિધ ક્ષેત્રોમાં ઉત્કૃષ્ટ કાર્ય કરનારાઓનું સન્માન કરે છે. વરિષ્ઠ પત્રકાર અને રાજ્યસભાના ભૂતપૂર્વ સભ્ય આરકે સિંહાને વર્ષ 2020 માટે પત્રકારત્વમાં તેમના ઉત્કૃષ્ટ યોગદાન બદલ ‘ડૉ.મંગલમ સ્વામીનાથન એવોર્ડ’ એનાયત કરવામાં આવ્યો હતો. વરિષ્ઠ પત્રકાર શ્રીરામ જોશીને વર્ષ 2021 માટે પત્રકારત્વમાં તેમના ઉત્કૃષ્ટ યોગદાન બદલ ‘ડૉ.મંગલમ સ્વામીનાથન એવોર્ડ.’ એનાયત કરવામાં આવ્યો હતો.
મલયાલમ મનોરમાના વરુગીઝ થોમસ અને શલભ ઉપાધ્યાયને અનુક્રમે વર્ષ 2020 અને 2021 માટે વિજ્ઞાન પત્રકારત્વમાં ઉત્કૃષ્ટ યોગદાન માટે ફાઉન્ડેશન દ્વારા સન્માનિત કરવામાં આવ્યા છે. ભારત વિકાસ પરિષદને ફાઉન્ડેશન દ્વારા દેશભરમાં સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓમાં ઉત્કૃષ્ટ યોગદાન બદલ સન્માનિત કરવામાં આવ્યું છે. ગયા વર્ષે, દૈનિક જાગરણના રાષ્ટ્રીય સંપાદક વિષ્ણુ ત્રિપાઠીને પત્રકારત્વમાં તેમના ઉત્કૃષ્ટ યોગદાન માટે ફાઉન્ડેશન દ્વારા સન્માનિત કરવામાં આવ્યા હતા.
હિન્દુસ્થાન સમાચાર/આશુતોષ/મુકુંદ / ડો. હિતેશ
